Tuesday, October 27, 2020

ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી: માણસના પુરુષાર્થની વિજયપતાકા લહેરાવતી નવલકથા (Part 01)

(ભાગ - 01) 

हमने बना लिया है, नया फिर से आशियाँ,
जाओ यह बात फिर किसी तूफां से कहो।
-
कतील शिफाई

માણસ કોઈ પરીક્ષા પાસ કરવા માટે, કોઈ સ્પર્ધા જીતવા માટે, કોઈ ડિગ્રી મેળવવા માટે, કે અન્ય કોઈ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા માટે મહત્તમ કેટલા પ્રયત્નો કરી શકે? પાંચ, દસ, પંદર, વીસ, ત્રીસ, બત્રીસ...?એનાથી વધારે તો નહિ જ ને! સિવાય કે એનું નામ દશરથ માંઝી હોય, તો વાત અલગ છે. આટલા પ્રયત્નોમાં પણ આસપાસના લોકો એને અટકી જવાનું સમજાવતા હોય અથવા તો એ પોતે જ હારીને, કંટાળીને હથિયાર મૂકી દેતો હોય. જો કે માણસ જ્યારે જ્યારે પરાજયની સ્વીકૃતિ સ્વરૂપે શસ્ત્રો મૂકી દે ત્યારે કોઈ દિવ્ય ચેતના ફરીથી એનામાં શૌર્યનો સંચાર કરવા કોઈપણ સ્વરૂપે આવી પહોંચતી હોય છે. અર્જુનને વિષાદમાંથી બહાર લાવવા યોગેશ્વર શ્રીકૃષ્ણએ કાલાતીત, અમર મોટીવેશનલ સ્પીચ આપી હતી - ભગવદ્ ગીતા સ્વરૂપે. આપણાં જેવાને ક્યારેક કોઈ નવલકથા કે કવિતા પણ तस्माद उतिष्ठ कौन्तेय કહી જતી હોય એવું બને.

માણસનો અંતરાત્મા એ જ એનું બ્રહ્માસ્ત્ર છે. અસંખ્ય પ્રયાસો નિષ્ફળ જાય છતાંય એ જ ઉત્સાહથી મચ્યા રહેવાની, હારી હારીને જીતવાની, માણસના પુરુષાર્થની વિજયપતાકા લહેરાવતી એક ક્લાસિક અમેરિકન નવલકથા એટલે અર્નેસ્ટ હૅમિંગ્વે લિખિત 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી'.



ક્યુબાના દરિયાકિનારે એક સાધારણ, વૃદ્ધ માછીમાર રોજ ટાંચા સાધનો સાથે દરિયામાં માછલી પકડવા જાય અને રોજ એકપણ માછલી પકડ્યા વગર ખાલી હાથે પાછો આવે. આ સિલસિલો સતત 84 દિવસ ચાલે છે. જી હા, ચોર્યાશી દિવસ! આટલાં પ્રયત્નો નિષ્ફળ જવા છતાં એ માણસ હારવાને બદલે પોતાની જાતને એક અનોખી ચેલેન્જ આપે છે - સૌથી મોટી માછલી પકડી લાવવાની. સ્વાભાવિક છે કે આસપાસનાં લોકો દ્વારા એને પાગલ ઠરાવવામાં આવે છે. નવલકથા વિશે આગળ વાત કરીએ એની પહેલાં એનાં લેખક વિશે થોડું જાણી લઈએ.

21 જુલાઈ 1899 ના રોજ જન્મેલા આ અમેરિકન પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર અર્નેસ્ટ હૅમિંગ્વેએ શરૂઆતમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે કામ કર્યું હતું. ત્યાં ઘવાયા, અને ઘરે પરત ફર્યાં. ઇલીનોસથી પેરિસ, ત્યાંથી સ્પેન, ત્યાંથી લંડન, ત્યાંથી આફ્રિકા.... ખૂબ રખડયાં, અનેકવાર ઘાયલ થયાં, મરતાં મરતાં બચ્યાં અને આખરે જુલાઈ 1961નાં એક દિવસે એમણે જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. નિયતિનો ખેલ જુઓ કે કોઈ વ્યક્તિ આપઘાત કરવા જતી હોય એ જો 'ઓલ્ડ મેન એન્ડ ધ સી' વાંચે તો કદાચ એનો મરવાનો વિચાર માંડી વાળે અને એ જ નવલકથા લખનારે પોતે આત્મઘાતી પગલું ભર્યું હતું.
બાળપણથી સાહસિક રમતોનાં શોખીન હૅમિંગ્વેએ યુદ્ધભૂમિ પર પણ શૌર્ય ઝળકાવ્યું હતું. કદાચ એટલે જ યુદ્ધભૂમિ એમની અનેક કૃતિઓમાં બેકગ્રાઉન્ડ તરીકે આવે છે.

એમનું અંગત જીવન તો ઉથલપાથલભર્યું અને રોમાંચક રહ્યું જ છે પરંતુ એમની લેખનશૈલી પણ સવિશેષ નોંધનીય છે. સરળ શબ્દો, સાદી વાક્યરચના અને થોડામાં ઝાઝુ કહેવાની કળા એમને હસ્તગત હતી. એમણે 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી' ને પોતાની શ્રેષ્ઠ કૃતિ ગણાવી હતી. નોબેલ અને પુલિત્ઝર વિજેતા આ કૃતિ કે જે બે મહિનામાં લખાઈ હતી અને સદીઓ સુધી લેખકને અમર કરી ગઈ.

તેઓ માનતાં હતાં કે લેખકે કોઈ કૃતિમાં બધું જ સ્પષ્ટપણે કહી દેવાની જરૂર નથી. કેટલુંક તો અધ્યાહાર રાખવું જોઈએ. પાણીમાં રહેલી હિમશીલાની ટોચ (10% ભાગ) જ બહાર દેખાય એવી રીતે લેખકે 90% બાબતો વાચકની સમજણ કે સજ્જતા પર છોડવી જોઈએ. 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી' કેમ ફક્ત સો પાનાંની નવલકથા છે એ સમજી શકાય છે.

આપણે પણ લેખમાં બધુ આજે જ કહી દેવાની જરૂર નથી. આ નોવેલના કથાનક વિષે વિસ્તારથી ચર્ચા કરીશું – આવતા ભાગમાં. એટલે કે,

ક્રમશઃ

પરંતુ, જતાં પહેલાં....

હિન્દીના સુખ્યાત કવિશ્રી હરિવંશરાય બચ્ચનજીની અમર રચનાના આ શબ્દો મને સેંટિયાગોના પાત્ર માટે એકદમ યથાયોગ્ય લાગે છે:-

तू न थकेगा कभी,
तू न रुकेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ, कर शपथ, कर शपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।

- © ડૉ. જય મહેતા

Tuesday, October 20, 2020

પુનરાગમન – થોડાં જગતનાં આંસુઓ, થોડા મરીઝનાં શેર

 


થોડાં જગતનાં આંસુઓ, થોડાં મરીઝનાં શેર,

લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?

-    સૌમ્ય જોશી

મરીઝ ગુજરાતી ગઝલનું સર્વોચ્ચ શિખર છે. એ ગુજરાતનાં ગાલિબ છે. એવું કંઈ જ કહેવું નથી. મરીઝને આપણે મરીઝ જ રહેવા દઈએ એ જ સારું છે. ચાર ચોપડી ભણેલાં એ શાયરે એવી શાનદાર અને જાનદાર ગઝલો આપી કે એમનાં વિષે લોકો Ph.D. થયા, બેગમ અખ્તરથી લઈને મન્નાડે અને જગજીતસિંઘ જેવાં મહાન ગાયકોએ એમની ગઝલોને પોતાનો કંઠ આપ્યો.

આ પ્રતિભાવંત શાયર અને એમની ગઝલો વિષે અનેક પુસ્તકો લખાયાં છે. શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત સમગ્ર મરીઝ એ વાચકોના હ્રદયમાં સ્થાન જમાવ્યું છે. જો કે અન્ય એક પુસ્તકમાં તો મરીઝની શાયરી કરતાં શરાબની લતને જ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું હોય એવું લાગે છે. દુ:ખની વાત એ જ છે કે ક્યારેક લોકોને કવિના કવિકર્મ કરતાં અંગત જીવનમાં વધારે રસ હોય છે. સાહિર–અમૃતા–ઇમરોઝ ના સર્જન કરતાં એમનાં સંબંધોની ચર્ચાઓ વધારે થતી હોય છે. જો કે, આજે જે પુસ્તકની ચર્ચા કરવી છે એમાં એવી કોઈ વાત નથી.

“પુનરાગમન: મરીઝ – સંપૂર્ણ શાયરી”; સંપાદન અપૂર્વ આશર, પ્રકાશન: નવજીવન ટ્રસ્ટ. મરીઝના ચાહકો માટે આ એક one stop solution જેવું પુસ્તક છે. એમાં આગમન’, નકશા અને દર્દ (જે ચંદ્રશેખર ઠકકુર તબીબએ ઉઠાંતરી કર્યો હતો) આખા સંગ્રહો તો છે જ પરંતુ મજાની વાત એ છે કે એમાં એમનાં મુકત શેર, રુબાઈઓ, મુક્તકો, નઝમો વગેરે પણ સમવાયા છે. ચાહકો ઉપરાંત કોઈ અભ્યાસુને પણ ઉપયોગી થાય એ રીતે સર્જકની ડાયરીનાં પાનાં પણ મૂકવામાં આવ્યા છે. મરીઝ સાહેબની આપણને અતિપ્રિય રચનાઓ એમનાં હસ્તાક્ષરોમાં વાંચવાનો રોમાંચ શબ્દાતીત છે. સાથેસાથે, એમનાં પ્રકાશિત શેર, એમણે કરેલ ફેરફારો તારીખ સહિત અપાયાં છે જે એક અપ્રતિમ શાયરની સર્જનપ્રક્રિયાને સમજવામાં ખૂબ ઉપયોગી થાય છે. મુફલિસીને આત્મસાત કરનાર મરીઝ સાહેબ ગઝલો ક્યારેક છુટ્ટી ચબરખી પર તો ક્યારેક સિગારેટનાં ખોખાં પર કે કોઈ રફ કાગળ પર ટપકાવી લેતાં એ પણ અહીં ગ્રંથસ્થ થયાં છે જે નોંધવું પડે.

પુનરાગમન ને સવિશેષ બનાવે છે એમાં છપાયેલ બયાનો – શ્રી હરિન્દ્ર દવે, કવિશ્રી પોતે, એમનાં પુત્ર મોહસીનભાઈ વગેરેના નિવેદનો આ વિરાટ પ્રતિભાને સમજવામાં વાચકની વહારે આવે છે. ગ્રંથનાં અંતે રદીફ-કાફિયા પ્રમાણેની સંદર્ભ સૂચિ તેમજ જે તે ગઝલના સમગ્ર મરીઝ માં છપાયેલ પાનાં ક્રમની યાદી પણ મુકાયેલ છે. પેપર ક્વોલિટી અને પ્રિંટિંગની દ્રષ્ટિએ જોઈએ તો એક મનમોહક ગ્રંથ બની શક્યો છે એ વાત નકારી ન શકાય.


આ કૃતિની વધુ એક વિશેષતા ધ્યાને લઈને આપણે ગઝલોની ચર્ચા તરફ વળીશું. ગુજરાતી ગઝલનાં ઉત્તુંગ શિખર મરીઝ ની સાહિત્યપ્રીતિ અને કળા પ્રત્યેની સૂઝ કેવી હતી એના એક-બે પ્રસંગો અહીં મળે છે. કુંદનિકા કાપડિયાની સાત પગલાં આકાશમાં હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી ત્યારે કોઈએ જાહેરમાં એની ટીકા કરતાં મરીઝ સાહેબે અધૂરી કૃતિનું વિવેચન એ વિવેકભંગ ગણાય એવો મત નમ્રપણે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત એક મુશાયરાનાં આયોજકે એમની પાસે અભિપ્રાય મંગાવેલો એ સંદેશો એમની સર્જક તરીકેની સજાગતા દર્શાવે છે. એનો એક અંશ:-

“મુશાયરા તો થતાં રહે છે. એ સૌ મુશાયરામાંથી શ્રોતાવર્ગમાંથી ભલે એક કે બે દશકામાં કોઈ પ્રતિભાવંત ગઝલકાર સર્જાય તો મુશાયરાની તે પરમ સિદ્ધિ લેખવી જોઈએ અથવા તો શ્રોતાગણમાંથી કોઈ પણ જણ કોઈ એક કે બે શેરમાંથી દિલી સાંત્વન મેળવે, જીવનમાં ઋજુતા સિંચે, હ્રદયપંથે વિચરે તો તે પણ ઘણું ઘણું છે.”


મરીઝ સાહેબે એવાં કેટલાં શેર આપ્યાં હશે કે જેનાથી કોઈ દિલી સાંત્વન મેળવે, કે જીવન દ્રષ્ટિ કેળવે? જવાબ:- અસંખ્ય. એવાં પણ ભાવકો છે કે જેને હ્રદયમાં પીડાનાં શૂળ ખૂંચે ત્યારે મરીઝ સાહેબની ગઝલો પાસેથી શાતા મેળવતાં હોય છે. અને એમનાં શેર યાદ રહી જાય પછી ભૂલવા મુશ્કેલ છે, એવું એમણે ખુદ નોંધ્યું છે:-

“મારાં કવનનું આટલું ઊંડું મનન ન કર,

કઇંક યાદ રહી જશે તો ભુલાવી નહિઁ શકે.”

કઠોર પ્રયત્નપૂર્વક અને સભાનતાપૂર્વક અહીં એમની ગઝલોની ચર્ચા ટાળી હતી કેમ કે એક લેખમાં ચર્ચાય એવો એ વિષય નથી જ, તેમ છતાં એમનાં અમુક શેરનો આસ્વાદ ન કરીએ તો એ શાયરની અને ભાવકોની એમ બમણી તોહીન ગણાશે.

ગમે એવી ઊંડી વાતને પણ સરળતમ શબ્દોમાં વ્યક્ત કરવી એ એમની એક USP રહી છે. જેમ કે,

“હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ?

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ!”

માનવીય સંવેદનોની અદ્ભુત અભિવ્યક્તિ માટે આ શેર હંમેશ યાદ રહેશે:-

“લાગણી, દર્દ, મોહબ્બત ને અધૂરી આશા;

એક જગા પર જો જમા થાય, હ્રદય થઈ જાય.”

માણસના જીવનમાં ચડતી-પડતી તો આવ્યાં કરે પણ નિષ્ફળતાના ગાળામાં પોતાની પ્રતિભા સામે કોઈ સવાલ કરે ત્યારે એને આ ચોટદાર શેર સંભળાવવાનું મન થાય:-

“કહો દુશ્મનને હું દરિયા જેમ પાછો જરૂર આવીશ,

એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.”

(અતિશયોક્તિ માટે આગોતરી ક્ષમાયાચના સાથે) જેમ કોઈ આસ્તિકને જીવનની સમસ્યાઓના ઉકેલ ભગવદગીતાના કોઈ શ્લોકમાંથી મળી રહે, એમ જ મઝહબ-એ-મરીઝ ને માનનાર આવા કોઈ શેરમાંથી સાંત્વન મેળવે:-

“આ નાના નાના દર્દ તો થાતાં નથી સહન,

દે એક મહાન દર્દ અને પારાવાર દે.”

આ ચર્ચાનો તો કોઈ અંત નથી, એટલે જ મરીઝ સાહેબના આત્મનિવેદન સમા આ શેર સાથે અટકીએ:-

“જ્યારે કલા કલા નહીં જીવન બની જશે;

મારું કવન જગતનું નિવેદન બની જશે.”

                                                         -    © ડૉ. જય મહેતા

Tuesday, October 13, 2020

ગુલઝાર અને ચાંદ: સંબંધ કોપીરાઇટનો

 


(આ લેખ લોકભારતી, સણોસરાના સામયિક કોડિયું ના સપ્ટેમ્બર 2020 અંકમાં પ્રકાશિત થયેલ છે.)

https://lokbharti.org/admin/img/September-2020.pdf

“ચાંદ પર મેરા કૉપીરાઇટ હૈ!”

આ વાક્ય કોઈ વૈજ્ઞાનિક, રાજનેતા કે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડાનું નથી. આ વાક્ય છે (કદાચ) ભારતનાં સૌથી લોકપ્રિય ગીતકારનું – ગુલઝારનું. ઉત્તમ ગીતકાર, ઉમદા કવિ, સંવેદનશીલ ફિલ્મમેકર, સ્ક્રીપ્ટરાઇટર, વાર્તાકાર, નાટ્યલેખક, સંવાદલેખક, બાળસાહિત્યના સર્જક... ટૂંકમાં કહીએ તો વર્સેટાઇલ જિનિયસ.

આ પ્રચંડ પ્રતિભાશાળી કલાકારના એક પરિમાણ – કાવ્યતત્વ વિષે થોડી વાતો કરવી છે. ગુલઝાર સાહેબનાં ફિલ્મી ગીતો અને કવિતાની રેન્જ એટલી વિશાળ છે કે તેનાં પર અઢળક પુસ્તકો લખાઈ ચૂક્યાં છે. એમની રચનાઓમાં લયની જબ્બર પ્રસ્તુતિ, ધ્વનિનો સુંદર પ્રયોગ (ચલ છૈયાં છૈયાં, ચપ્પા ચપ્પા ચરખા ચલે, છૈ છપ્પા છૈ છપ્પાક છૈ ...) જીવનની ગહનતમ ફિલસૂફીની સરળતમ સમજૂતી (ઝિંદગી તેરે ગમને હમે રિશ્તે નયે સમજાયે, મિલે જો હમે ધૂપ મેં મિલે, છાંવ કે ઠંડે સાયે, આનેવાલા પલ જાનેવાલા હૈ વગેરે), દિલ ની એકદમ હટકે અભિવ્યક્તિ (“દિલ હૈ તો ફીર દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા” થી લઈને “દિલ તો બચ્ચા હૈ” જી સુધી), આંખ વિષય પરની વિશિષ્ટ રજૂઆત (“આંખે ભી હોતી હૈં દિલ કી ઝૂબાં; આંખે ભી કમાલ કરતી હૈં, પર્સનલ સે સવાલ કરતી હૈં!).....

અને હા, એમનાં કાવ્યાત્મક કલ્પનો (Imagery) વિષે તો આખું થિસિસ લખી શકાય અને લખાયેલું પણ છે જ.

આવાં ગુલઝાર બ્રાંડના કલ્પનોનાં કેટલાક ઉદાહરણો જોઈએ:-

·         દિન ખાલી ખાલી બર્તન હૈ ઔર રાત હૈ જૈસે અંધા કૂંઆ (ઘરોન્દા)

·         હમને દેખી હૈ ઉન આંખો કી મહકતી ખુશ્બુ,

હાથ સે છૂ કે ઈસે રિશ્તો કા ઇલ્ઝામ ન દો.

·         એક અકેલી છતરી મે જબ આધે આધે ભીગ રહે થે

આધે ગિલે આધે સુખે, સૂખા તો મૈં લે આઈ થી!”

અનેક ગીતો એવાં પણ છે કે જે એમણે લખ્યાં હોય એની ખબર તો બહુ મોડી પડી હોય પણ લોકહૈયે અને લોકજીભે બહુ પહેલાં ચડી ગયાં હોય. જેમ કે,

·         જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ,

ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હૈ, ફૂલ ખીલા હૈ.

આ ઉપરાંત લગભગ દરેક વરઘોડામાં અચૂકપણે વાગતું આ ગીત:-

·         સપને મેં મિલતી હૈ ઓ કુડી મેરી સપને મે મિલતી હૈ;

સારા દિન સડકોં પે ખાલી રિક્ષે સા પીછે પીછે ચલતા હૈ!

વાહ! શું ઉપમા આપી છે પ્રેમિકા પાછળ ફરતા પ્રેમી માટે! સંવેદનાસભર અને નજકાતભર્યા ગીતોના સર્જક ગુલઝાર સાહેબે જ આ ગીત લખ્યું છે એ જાણીને ખૂબ નવાઈ લાગી હતી:-

·         ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ.

ભેજે કી સુનેગા તો મરેગા કલ્લુમામા!

એમણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં કહેલું છે કે એક ગેંગસ્ટર દારૂ પીને ગીત ગાય તો એ કાંઈ દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યાં હૈ તો ન જ ગાય ને!

ફિલ્મના ગીતમાં પાત્રના મનોભાવો અને જીવનની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને ગીત લખાતું હોય છે એટલે એ અર્થમાં ફિલ્મનુ ગીત કવિતાથી અલગ પડે છે. કવિતામાં કવિ પોતે સ્પષ્ટપણે પોતાની વાત પોતાનાં શબ્દોમાં મૂકી શકે છે જે ફિલ્મના ગીતમાં બનતું નથી. આમ છતાં, ફિલ્મનાં ગીતોમાં પણ ક્યાંક ઊંડેઊંડે ગીતકારનું વિચારવિશ્વ પડઘાતું જોવા મળે છે અને બારીકાઈથી જોતાં એની સિગ્નેચર સ્ટાઈલ પણ વરતાઈ આવે છે. જેમ કે ચાંદ નું રૂપક આજ સુધીમાં અસંખ્ય ગીતોમાં પ્રયોજાતું આવ્યું છે પરંતુ ગુલઝાર સાહેબની કલમે અવતરેલાં ગીતોમાં અને નઝમોમાં ચંદ્ર પ્રત્યેનો દ્રષ્ટિકોણ સવિશેષ નોંધનીય રહ્યો છે.



મેરા કુછ સામાન પુસ્તકમાં એમના દોઢસોથી વધારે ગીતો સમાવાયા છે અને એની પ્રસ્તાવનામાં એમણે પોતાના સૌપ્રથમ ગીતની સર્જનપ્રક્રિયા સુંદર રીતે વર્ણવી છે અને એ ગીત છે: “મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે.” બિમલ રોયની ફિલ્મ બંદિની માં કલ્યાણી (નુતન) પોતાના પ્રિયપાત્રને મળવા જવા ઈચ્છે છે પણ મર્યાદા એને રોકે છે. આ કશ્મકશમાં ચંદ્ર વધારો કરે છે, જાણે કે વાદળમાથી ડોકિયું કરીને ખંધું હસતાં એ કહેતો હોય:- “કેવી રીતે જઈશ? હું ચાંદની ફેલાવી દઇશ તો સૌ તને જોઈ જશે.” કલ્યાણી ચિડાઈને કહે છે:-

બદરી હટા કે ચંદા, ચુપકે સે ઝાંકે ચંદા, તોહે રાહુ લાગે બૈરી, મુસ્કાએ હૈ જી જલાઈકે

મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે, છૂપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા  સંગ દઈ દે.”

કાશ! હું આટલી ગોરી ન હોત તો અંધારામાં છૂપાઈને મારા પ્રિયતમને મળી આવત!

ગુલઝાર એક જગ્યાએ લખે છે: કવિતા વિષે એવું કહેવાય છે કે ANYTHING UNDER THE SKY CAN BE A SUBJECT OF POETRY પરંતુ જેમ જેમ લખતો ગયો એમ સમજાતું ગયું કે આસમાન તળે જ નહીં, આસમાનને પેલે પાર પણ અનેક તત્વો છે કે જે કવિતાનું કેન્દ્ર બની શકે છે. બસ આ જ કારણ છે કે એમનાં ફિલ્મી ગીતો કે અન્ય રચનાઓમાં સૂર્ય-ચંદ્ર, રાત, આકાશ, ગેલેક્સી, સિતારાઓ વગેરે વારંવાર આવે છે. મેરે અપને નું આ ગીત જુઓ:-

“રોઝ અકેલી આયે, રોઝ અકેલી જાયે, ચાંદ કટોરા લિયે ભિખારન રાત!”

અગાઉ કહ્યું એમ ચંદ્ર પ્રત્યેનો ગુલઝારનો દ્રષ્ટિકોણ કઇંક અલગ છે અને એ દરેક ગીતમાં અલગ રીતે પડઘાય છે. એટલું જ નહીં, હિન્દી સિનેમાના બદલાતાં પવન પ્રમાણે પોતાનાં શબ્દોનું શઢ ફેરવનાર આ કવિએ ઈ.સ. 1963 માં ફિલ્મ બંદિની માટે ચંદ્રને જે શબ્દોમાં અભિવ્યક્ત કર્યો હતો એ જ ચંદ્રને ઈ.સ. 2002માં ફિલ્મ સાથીયા માં કઈંક અલગ જ સ્ટાઇલમાં વ્યક્ત કરે છે:-

“ઓ સાથીયા શામ કો ખીડકી સે ચોરી ચોરી નંગે પાંવ ચાંદ આયેગા,

ગલિયોં સે આયેગા, સિટી બજાએગા, નીમ કે પેડ સે, પાસ બુલાએગા.”

બેફિકરી અને મસ્તીમાં જીવતો અમીર બાપનો દીકરો મોંઘી બાઇક પર હેડફોનથી સંગીત સાંભળતો જતો હોય ત્યારે આ જ કલ્પન યોગ્ય લાગે ને!

કાવ્ય આખરે શું છે? માનવમનમાં થતી ઊથલપાથલનું પ્રગટ સ્વરૂપ, બસ! જેમ ચહેરાનાં બદલાતાં હાવભાવ અરિસામાં અદ્દલ ઝીલાય એવું જ કઈંક. ઘરોંદા ફિલ્મના આબ-ઓ-દાના ગીતની બાબતમાં પણ કઈંક એવું જ છે ને! આ ગીતનાં પણ બે વર્ઝન છે: ડ્યુએટ સ્વરૂપમાં શબ્દો છે દો દીવાને શહેર મેં. એક યુગલ મહાનગરમાં ઘર ખરીદવાના સપનાં જુએ છે ત્યારનાં શબ્દો:-

“જબ તારે ઝમીન પર ચલતે હૈં, આકાશ ઝમીન હો જાતા હૈ.

ઉસ રાત નહિઁ ફીર ઘર જાતા, વો ચાંદ યહીં સો જાતા હૈ.”

ઘર ના વિષયને ચાંદ પર પણ કેવું અજબ લાગુ પાડી શક્યાં છે ગીતકાર! આ જ ગીતનું થોડું ગમગીન વર્ઝન – ભુપીન્દરના સ્વરમાં ગવાયેલું છે અને એનાં શબ્દોમાં રાત ને ઉપરનાં શબ્દો સાથે સરખાવી જોજો:-

“દિન ખાલી ખાલી બરતન હૈ ઔર રાત હૈ જૈસે અંધા કુંઆ

ઇન સુની અંધેરી આંખો મેં આંસુ કી જગહ આતા હૈ ધુંઆ!

ફિલ્મ પરિચય ના ગીત બીતી ના બીતાઈ રૈના માં રાત અને ચાંદનો સંબંધ કઇંક આ રીતે મુકાયો છે:-

“ચાંદ કી બિંદીવાલી, બિંદિવાલી રતિયા”

કોઈ સ્ત્રીના મુખ પર મોટો, ગોળ ચાંદલો એ ચહેરાંની શોભામાં અભિવૃદ્ધિ કરે એમ જ...

ગુલઝારિયતની ચર્ચા થાય અને આંધીનો ઉલ્લેખ ન થાય એ તો કેમ ચાલે? એક સમયના જીવનસાથીઓ અલગ થયાંના એકાદ દાયકા પછી મળે છે અને રાતના સમયે ફરવા નીકળે છે. ફિલ્મના રાજકીય સંદર્ભને બાજુએ રાખીએ તો પણ એ મિલન-વિરહ-મિલનના સિલસિલાને ચાંદના માધ્યમથી બખૂબી વ્યક્ત કરાયો છે એ નોંધવું જ પડે. અહમદ ફરાઝ યાદ આવે:

"અબ કે હમ બીછડે તો કભી ખ્વાબોં મે મિલે, જૈસે સુખે હુએ ફૂલ કિતાબોં મેં મિલે!"

હિન્દી ફિલ્મ ઇતિહાસનાં ક્લાસિક કહી શકાય એવાં ગીતોમાનું એક 'તેરે બીના ઝિંદગી સે કોઈ શિકવા તો નહિ' નાં શબ્દો:-

તુમ જો કેહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં

'રાત કી બાત હૈ ઔર ઝિંદગી બાકી તો નહીં'.

રાજનેતા તરીકે સફળ કારકિર્દી બનાવી ચૂકેલી આરતીદેવી દિવસે તો જે.કે.ને મળી શકે એમ નહોતી જ એટલે સંબંધનો ધબકાર રાત્રે જ ઝીલવાનો હતો.



ફિલ્મ 'લેકિન' માટે લખાયેલ એક ગીતની પંક્તિ જોઈએ:-

"મૈં એક સદી સે બૈઠી હું, ઇસ રાહ સે કોઈ ગુઝરા નહિઁ

કુછ ચાંદ કે રથ તો ગુઝરે થે, પર ચાંદ સે કોઈ ઉતરા નહિઁ."

આ વાંચતાં અમેરિકન કવિ એમીલી ડિકીન્સન ની રચના 'Because I Could Not Stop for Death’ યાદ આવે જ્યાં મૃત્યુ રથ લઈને આવે છે અને કાવ્યનાયકને આરામથી, હાથ પકડીને રથમાં બેસાડીને અનંતની યાત્રાએ લઈ જાય છે .

એમની અત્યારની ફિલ્મોની વાત કરીએ તો 'ચાચી 420' ના એક ગીતમાં એ ચાંદને ખીંટી પર ટાંગવાની વાત કરે છે તો 'ઓમકારા' માં 'મેં ચાંદ નિગલ ગઈ દઇયાં રે, અંગ પે ઐસે છાલે પડે' એવું પણ લખે છે. ફિલ્મ 'કમીને' નું આ ગીત કેમ ભૂલાય?

"કભી ઝિંદગી સે માંગા પિંજરે મે ચાંદ લા દો, કભી લાલટેન લે કે કહા આસમાં પે ટાંગો!"



માણસની ઇચ્છાઓની સૃષ્ટિ કેવી અજીબોગરીબ હોય છે અને કવિ કેવી સુંદર રીતે એને અભિવ્યક્ત કરી શકે છે. એક જ ચંદ્રના આટઆટલાં મેઘધનુષી રંગો આપણી સમક્ષ પ્રસ્તુત કરનાર કવિ, ગીતકાર ગુલઝારને એટલે જ આશા ભોંસલે હળવાશથી કહેલું:- "તમારું કોઈ ગીત ચાંદ વિના પૂરું જ નથી થતું ને!"

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચમકદમકભરી, માયાવી, આભાસી અને લપસણી દુનિયામાં રહીને પણ દાયકાઓ સુધી સુંદર સાહિત્યસર્જન કરતાં રહેવું એ કોઈ નાની ઉપલબ્ધિ નથી. આ પુસ્તકમાંથી પસાર થતાં 'ચાંદ' વિશેનાં જેટલાં નિરીક્ષણો ધ્યાને આવ્યાં એ અહી ચર્ચ્યા છે બાકી ગુલઝારના ગીતોને અન્ય કોઈ વિચાર, વિષય કે કલપનના પ્રિઝમથી જોઈએ તો ચોક્કસ નવી અર્થછાયાઓ મળી આવશે જ. એમણે વિકસાવેલ કાવ્યપ્રકાર 'ત્રિવેણી' ના એક ઉદાહરણથી ચર્ચાને વિરામ આપવાનું યોગ્ય રહેશે:-

"મા ને જિસ ચાંદ સી દુલ્હન કી દુઆ દી થી,

કલ રાત ફૂટપાથ સે દેખા મૈંને

રાતભર રોટી નઝર આયા હૈ મુજે વો ચાંદ."

-    © ડો. જય મહેતા    

 

 

 

Pre-thinking Activity: Poe, Pandemic and Human Psyche

 



Dear Students,

With an anticipation that you have gone through the pre-task blog post on the stories of Edgar Allan Poe (link:- https://jaynmehta.blogspot.com/2018/09/passion-perversity-and-poe-introduction.html) I am sure you must have familiarized yourself with the world of bizarre, macabre and inexplicable acts of crime in his stories.

Gruesome acts of violence or crime are frequent in Poe's stories but why does the writer deal with such things? What actually goes in the mind of a culprit while doing atrocious acts? How can someone be so cruel? Do such things happen in real life as well? Such questions bubble up in mind when we read Poe's stories.

Literature is not all about the rosy dreams and flowery feelings. As it holds mirror to the society, even the dirtiest reality also gets mirrored in it. So is the case with the stories of Poe. We often use the terms like 'Humanity' for acts of kindness and 'Animalistic' or 'Wild' for some aggressive, rash acts but we come across absolutely paradoxical scenario in society.


Newspapers are, figuratively speaking, soaked in blood. We come across news of crimes which send a shiver down our spine. Largely due to COVID19 pandemic and the consequent lockdown, there has been a rise in the cases of domestic violence, suicide, depression etc in last six months or so. Psychiatrists have witnessed cases of mental health skyrocketing in recent times.



So is the case with the recent trends of web series on OTT. 'Sacred Games', 'Paatal Lok' and other such programs have rampant scenes of violence, sexuality, abuses and so on.


 

Every year we at Dept_Eng_MKBU attempt to learn Poe’s stories from a different perspective, this time, I think we should contextualize those themes in the COVIDIFIED world and the social upheavals faced during this absolutely unprecedented and the first of its kind LOCKDOWN that we may have seen.

Hence, what you are expected to do is:-

01. Explore AUTHENTIC print, electronic and social media, filter through various incidents that have happened in last 06 months or so.

02. Narrow down your focus to the news headlines of horrible, gruesome and shocking crime stories. (murder, suicide, brutal violence, perversity, terrorism, domestic conflicts, animal abuse and so on). For example:-


or even this...


Click photos of them, prepare a collage or ppt or whatever…

03. Note down your first impressions while they met your eyes. What thoughts they generated in you? What possible abyss of human mind did you observe that  you can even try to fathom?

04. Write a blog on the aforementioned activity and share its link as a comment to this post.

Deadline:- 12 noon, 18th October 2020.

Please feel free to ask for any help if you need.

You can reach me at: jaysmehtas@gmail.com

Thanks.

Happy Learning…!!!

-         Dr. Jay Mehta

Tuesday, October 6, 2020

દેવર્ષિ મહેતા - Death Be Not Proud!

 


(લખ્યા તા. 03-10-2016)

"સેકંડ કાંટો

ડગ ભરે સતત

મોત તરફ!"

- જય મહેતા

તમને કોઇ કહે કે "મને મારા એક આત્મીય સ્વજનના મૃત્યુથી ફાયદો થયો છે." તો તમને કેવું લાગે? માન્યામાં આવે? તમે વ્યક્તિને પાગલ કે વિકૃત ગણો? હા, આજે હું એવું કંઈક કહેવા માગું છું. સામાન્ય રીતે થાય એવું કે કોઇ પ્રિયજનને ગુમાવીએ ત્યારે એના આઘાતમાંથી બહાર નીકળતા ખૂબ વાર લાગે, એની યાદો રુંવેરુંવે ડંખે, એને ફરી પાછા લઇ આવવાની અતાર્કિક ઝંખના ઉધામા કરે પણ... જે કંઇ પીડા છે આપણી પોતાની હોય છે. આપણને વ્યક્તિની જરૂર હતી કે છે અને હવે ગુમાવવાથી આપણું આખું ભાવવિશ્વ હચમચી ગયું છે એટલે આપણે રડીએ છીએ. અધ્યાત્મ જેને મોહ કહે છે માનવસહજ, જીવસહજ બાબત છે પણ ઘા થોડાક રુઝાય અને આપણે સ્વસ્થચિત્તે વિચાર કરીએ તો સમજાય કે જીવન આપણને કંઈક કહેવા માગે છે ઘટનાથી.

અટલ બિહારી બાજપાઇજી યાદ આવ્યા:-

"જન્મ મરણ કા અવિરત ફેરા, જીવન બન્જારોં કા ડેરા

આજ યહાં કલ કહાં કૂચ હૈ, કૌન જાનતા કિધર સવેરા"

કોઇનું મૃત્યુ શું કામ થતું હશે? વિજ્ઞાન પાસે પોતાના જવાબ છે, અધ્યાત્મ એને અલગ રીતે સમજાવે છે પણ સામાન્ય માણસની સામાન્ય સમજણ શું કહે છે? જીવનમાં બનતી નાનામાં નાની ઘટના પણ કયારેય અકારણ નથી હોતી તો આપ્તજનનું મૃત્યુ તો ખળભળાવી મુકે તેવી ઘટના છે. જો એને નિયતિનો સંદેશ ગણીએ તો સમજાય કે કુદરત, ભગવાન, ડેસ્ટિની - જે કહો તે તમને આઘાત દ્વારા કંઇક સમજાવવા માગે છે. હું જાણું છું કે જે કારમી વેદના અનુભવતા હશે કે નજીકના ભૂતકાળમાં અનુભવી હશે એને વાંચીને મને ગાળો દેવાનુ મન થતું હશે. કોઇક તો એમ પણ કહેશે કે "તારે ઠીક છે ભાઇ! બોલવું સહેલું છે. તારા પર વીતે તો ખબર પડે કે આવું ડહાપણ કેમ સુઝે!" દોસ્તો, જે લોકોએ મારી જીંદગી જોઇ છે એમને ખબર છે કે 1986 થી 2016 સુધી લગભગ દર થોડાં વર્ષનાં અંતરાલે મેં કોઇ ને કોઇ પ્રિયજનને એક કે બીજી રીતે ગુમાવ્યા છે. ખૂબ તરફડ્યો છું, ખૂબ વલોવાયો છું ને વલોપાતમાંથી વિચારઅમૃત મળ્યું છે જેને English માં Blessing in Disguise કહેવાય છે.



03 ઓક્ટોબર 2014. ભાવનગર.

દેવર્ષિ મહેતા.

આજે રાત્રે કાળસર્પયોગ જેવી ક્ષણોને બે વર્ષ થઇ જશે. એનાં વિષે નથી લખવું. વિચારું છું તોય લખલખું પસાર થઇ જાય છે શરીરમાંથી; એનો ફોટો પણ જોઇ નથી શકતો. સતત ભાગતો ફરું છું વાસ્તવિકતાથી. નિયતિના સણસણતા તમાચાની તમ્મરથી થોડીક કળ વળી છે એટલે લખી શકું છું પણ આઘાતના પડઘા હજીયે શમ્યા નથી. દેવર્ષિ સાથેની મારી દોસ્તી, એની સાથેની મોજીલી મોમેન્ટ્સ અને . હેન્રીની વાર્તાના અણધાર્યા અંત જેવી આખરી ઘડીઓ વિષે અહીં અગાઉ લખી ચુક્યો છું.

કોઇ ઘસઘસાટ ઊંઘતું હોય અને અચાનક એના ગાલ પર થપ્પડ પડે ને ઝબકીને, હેબતાઈને, દિગ્મુઢ થઇને જોઇ રહે એવી મારી મનોદશા થઇ હતી. હનુમાનજી પ્રત્યેની અતૂટ, અખૂટ અને અગાધ શ્રદ્ધાને લીધે હું કુઠારાઘાત જીરવી તો ગયો પણ જેમ ધરતીકંપથી નદીનુ વહેણ બદલાઇ જાય એમ મારા વિચારપ્રવાહનુ વહેણ બદલાઇ ગયું. Hamlet ની જેમ વિચાર્યું:-

'To be or not to be that is the question

Whether it's nobler in the mind

To suffer the slings and arrows of outrageous fortune

Or to take arms against a sea of troubles."

મારા હોવાનું શું પ્રયોજન છે? કેવી રીતે જીવવું જોઇએ? નિષ્ઠુર પ્રકૃતિના આરપાર વીંધતા ભાલાઓ ખમી ખાવા કે જીવનની વિષમતા, વિટંબણા અને વિભિષિકા સામે શસ્ત્રો ઊઠાવીને લડી લેવું? શું કામ બન્યું? મારું જો આવું થાય તો?

હા, વિચારની વાત અહીં કરવી છે. કોઇ સ્મશાનવૈરાગ્યની કે 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' વાળી વાત નથી. જીવનનું અફર સત્ય છે મૃત્યુ. ઓશો સમજાવે છે કે જીવનમાં સતત Binary Oppositions જોવા મળે છે - દિવસ અને રાત, સુખ અને દુ:, ઇષ્ટ અને અનિષ્ટ વગેરે. કોઇ એકને છોડીને બીજાને સ્વીકારી શકાતા નથી. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે તો મારું પણ હશે ને! કયારે? કયાં? કેવી રીતે? અગત્યનું નથી. સૌથી મહત્વનો સવાલ છે કે ત્યાં સુધીમાં હું કેવું જીવ્યો હોઇશ? "બાબુમોશાઇ, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં!"

મારો દરેક શ્વાસ મૃત્યુની દિશામાં મંડાયેલ કદમ લાગે છે. શરૂઆતમાં જે હાઇકુ લખ્યું પ્રમાણે હ્રદયનાં ધબકારા, સેકંડ કાંટાનુ ટક-ટક ટાઇમ-બોમ્બના કાઉન્ટડાઉન જેવું લાગે છે. મૃત્યુના ભયને લીધે વિચાર આવે છે એવુ પણ નથી; જીવનની સાર્થકતા બાબતે કંઈક કરવાનું છે એવુ સતત થયા કરે છે. મારું સદભાગ્ય છે કે શિક્ષક હોવાને નાતે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની અને ખુશીઓ રેલાવવાની તક મને મળે છે. શું હું કરી શક્યો છું? કરી શકીશ? એક માણસ કેટકેટલાં રોલ નિભાવતો હોય છે! પુત્ર, ભાઈ, પતિ, પડોશી, કુટુંબીજન, દેશનો નાગરિક...... બસ, બધાં રોલને બખૂબી નિભાવી લેવા છે - સ્ટેજ છોડતા પહેલા!



જો કે, વિચારો તો કોઇનાં પણ મૃત્યુના સંદર્ભે એટલાં પ્રાસંગિક લાગે. તો પછી દેવર્ષિની વિદાય વિષે કેમ આવુ વિચારું છુ?

કારણ કે એણે આખરી અલવિદા કીધી પછી ઓનલાઇન અને રુબરુ લોકોએ જે ખાલીપો દેખાડ્યો અને જે આંસુઓ વહાવ્યા બતાવે છે કે તે કેટલું ચિક્કાર જીવ્યો હતો, સંબંધોમાં કેટલો ધોધમાર વરસ્યો હતો! બાકી આજની 4G લાઇફમાં લોકો ફક્ત RIP લખીને છૂટી જતાં હોય છે ત્યારે એના માટે લોકોએ આટલો ઝુરાપો વ્યક્ત કર્યો મને ઘણું શીખવી જાય છે.

તો, શરુઆતમાં જે ફાયદાની વાત કરી હતી હવે આવે છે. એક વાક્યમાં કહું તો દેવલાએ મને જીંદગી જીવતાં શીખવ્યું - મર્યા પછી! હતો ત્યારે ક્યારેય આવું જ્ઞાન નહોતો આપતો - બસ મોજ કરતો ને કરાવતો. બાળકની જેમ મુક્તમને હસતો, મને ખીજવતો, ગીતો ગાતો, ઓશોને વાંચીને "ઓહ એય જયલા, બાવો હું કયેસ જો સાંભળ!" કહેતો, સતત સાંભળવાનું ગમે એવું મસ્ત English બોલતો...... (યાદોં કી બૌછારોં સે જબ પલકેં ભીગને લગતી હૈં...!)

દેવર્ષિ મહેતા કોઇ મહાન માણસ નહોતો પણ મસ્તમૌલા માણસ હતો. ઇતિહાસ નોંધ લે એવી કોઇ સિદ્ધિ એણે હાંસલ કરી નહોતી પણ એણે લોકોને ખુશ રાખવાની કળામાં મહારથ હાંસલ કર્યુ હતું. સાહિત્ય અને અધ્યાત્મની યાત્રા અમે સાથે કરતાં હતાં અને એનું સ્ટેશન આવ્યું ને ઉતરી ગયો, અને મને શીખવતો ગયો કે:-

"આગે ભી જાને ના તુ, પીછે ભી જાને ના તુ

જો ભી હૈ, બસ યહી ઇક પલ હૈ."

હું એના જેવો થવાની કોશિશ નથી કરતો - કોઇ કોઇનાં જેવું કયારેય થઇ શકે પણ વ્યક્તિનાં આત્માના સૌંદર્ય ને સમજીને આપણે આપણા આત્માને નિખારવાનો પ્રયત્ન તો કરી શકીએ ને! મારા દરેક creative writing માં હું એને યાદ કરું છું કારણકે મારી પહેલી કવિતા વાંચીને એણે મને શાબાશી આપી હતી. એની પાસેથી હું ઘણું શીખ્યો છું એની વાત પછી કયારેક પણ સાહિત્ય અને અધ્યાત્મ - બે ક્ષેત્રે સતત આગળ વધતા રહેવું અને પોતાની આસપાસનાં લોકોને ખુશ રાખવા, ઉપયોગી થતા રહેવું બે બાબતો હું શીખ્યો એના જીવનમાંથી - એના મૃત્યુ પછી; અને ફાયદો થયો મને એના જવાનો. જો હયાત હોત તો હું આટલું વિચારતો થયો હોત. એનો અર્થ એવો બિલકુલ નથી કે હું બહુ સારો માણસ છું. મારા સ્વભાવની ખામીઓ મારાં નજીકનાં લોકોએ વેઠી છે. મારો તરંગી સ્વભાવ, ભૂલકણાપણુ, બેદરકારી વગેરે. મારી સજાવેલા છરી જેવી જીભથી અનેક hurt થયાં હશે, મારા ગુસ્સાની ઝાળથી વ્હાલા દાઝ્યા છે પણ તેમ છતાં લગભગ રોજ વિચાર આવે છે:-

"કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર

કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર

કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર

જીના ઇસી કા નામ હૈ!"

સુપરવાઇઝર પાસે સપ્લીમેન્ટરી માગવી પડે એટલું લખ્યું તોય ખૂબ બધું અવ્યક્ત રહી ગયું હોય એમ લાગે છે. અવ્યક્ત, અધૂરું, અધકચરું એટલે કોઇના અભાવમાં જીવાતુ જીવન.

"કોઇ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઇ દોરાનું તૂટવું લાવ્યા

કોઇ અંગત, ફાડી ખાનારું એકાંત લઇને આવ્યા છે!"

- .પા.

(દેવર્ષિ વિષે વિચારતા, એનો ફોટો -પ્રોફાઇલ-પોસ્ટ જોતા આંખોમાં ધસી આવેલાં આંસુઓને શિરા અને ધમની મારફત આંગળીઓ તરફ વાળીને કાગળ ઉપર ઊતારવાનો પ્રયાસ કર્યો છે ને જે લખ્યું તે અક્ષરશ: અહીં મુક્યુ છે એટલે પોસ્ટમાં કયાંય કોઇ કચાશ, કમી, અધૂરપ લાગે તો માફ કરજો. આખરે, જીંદગી એક અધૂરપ છે કે બીજું કાંઇ?)

- ©  જય મહેતા