Tuesday, September 29, 2020

મારા જીવનના સૌપ્રથમ શબ્દગુરુ શ્રી કિશોરભાઇ મહેતા

 

(લખ્યા તા. 25-09-2020)


પરમેશ્વર તો પહેલું પુછશે, કોઈનું સુખદુ:ખ પુછ્યુંતું?

દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછયુંતું?

ગેંગેફેંફે કરતાં કહેશો, હેંહેંહેં શુંશુંશું?”

                            -    મીનપિયાસી

1990ના દાયકાની વાત છે. મે મહિનાના ધોમધખતા ઉનાળાની એક ઢળતી સાંજ છે. વર્ગમાં છેલ્લી બેન્ચે સૂનમૂન બેસી રહેલ વિદ્યાર્થિની જેમ સૌરાષ્ટ્રના ખૂણે આવેલ અમરેલીના મણિનગર વિસ્તારમાં એક ઓપન જેલ છે જ્યાં કેદીઓને બંધ કોટડીમાં પૂરી રાખવાને બદલે ખેતી, પશુપાલન વગેરે પ્રવૃત્તિઓમાં જોડવામાં આવતાં હોય છે. એ જેલની દીવાલને અડોઅડ એક સોસાયટીની સળંગ 7-8 મકાનોની હરોળ અને એની સામે બાળકો રમી શકે એવી થોડી ખુલ્લી જગ્યા.

એવી જ એક સાંજે ત્યાં રમતાં બાળકોમાંથી એક ટાબરિયો દૂરથી આવતી વ્યક્તિને જુએ છે. શાંતિના પ્રતિક સમા શ્વેત ઝભ્ભા-લેંઘાના સાદા પરિધાનમાં, ઉંમરની સફેદી વટાવી ચૂકેલ ઊંચા બાંધાના એ સજ્જન જમણો હાથ છાતી પર રાખીને ચાલ્યા આવે છે. છોકરો એમને જોઈને બેટ મૂકીને દોડે છે એ હરોળના છેલ્લા મકાનમાં, અને ઉત્સાહથી છડી પોકારે છે:- “બાપુજી આવ્યા.”

હવે પ્રશ્ન એ થાય કે જે ઉંમરે ક્રિકેટની બેટિંગ ત્યાગવાનું કોઈ હિસાબે પોસાય નહીં ત્યારે એ છોકરો રમત પડતી મૂકીને કેમ વડીલોની વાતો સાંભળવા દોડી ગયો?

જવાબ:- જો એ સમયે એ છોકરો ત્યાં બાપુજીની વાતો સાંભળવા બેસતો ન હોત તો આજે આ છોકરો આ લખાણ લખતો ન હોત. જી હા, મારે વાત કરવી છે મારા બાપુજી એટલે કે પપ્પાના મોટાભાઇ કિશોરભાઇ મહેતા વિષે. ઉપરોક્ત દ્રશ્યમાં છેલ્લું મકાન એટલે મારા ફઇ રમાબેનનું ઘર જે આજેય એમનાં આખરી વર્ષોની એકાકી સ્મૃતિઓ સાચવીને બેઠું છે. ત્યાં અમે વેકેશનમાં જતાં અને બાપુજી મળવા આવતા ત્યારે દુનિયાભરની વાતો થતી. પારિવારિક બાબતોથી માંડીને ગાંધીજી, વિનોબા ભાવે, રામકૃષ્ણ પરમહંસ, સાહિત્ય, સંગીત વગેરે વિષયો ચર્ચાતા અને અહીંથી મારી સાહિત્યની દિક્ષા થઈ.

“તમારો આદર્શ/ રોલ-મોડેલ કોણ?” એવો પ્રશ્ન મને પુછવામાં આવે તો અત્યાર સુધી મારી પાસે એનો જવાબ નહોતો. ફિલ્મજગત, સ્પોર્ટ્સ કે જાહેર જીવનમાં અનેક સેલિબ્રિટિ મારા પ્રિય રહ્યાં છે પણ એમાંથી કોઈ રોલ-મોડેલ ન કહી શકાય પણ આજે થોડું ઊંડાણપૂર્વક વિચારતા જવાબ મળે છે કે મારી પાસે એક એવી વ્યક્તિ છે જેને જોઈને એની જેમ જીવવાનું મન હંમેશા થતું આવ્યું છે અને બાળક જેમ મા-બાપની નકલ કરે એમ મેં એમના જેવા થવાના પ્રયત્નો કરેલા છે.



અમરેલીમાં રહેનાર કે રહી ચૂકેલ અને ભાષા-સાહિત્ય, શિક્ષણ સાથે સંકળાયેલ કોઈ જણ એવું ન જડે કે જે કિશોરભાઈ મહેતાના નામથી પરીચિત ન હોય. એમનાં વિદ્યાર્થીઓ, સહકર્મીઓ, ઉદ્યોગજગતના લોકો, કાર્યકરો, અન્ય પરિવારજનો વગેરે એમની પ્રતિભા વિષે વધુ સારી રીતે કહી શકે પણ મારે આ વિરાટ પ્રતિભાના એક નાનકડા હિસ્સાની વાત કરવી છે. જેમ બુદ્ધના મંદિરમાં ભવ્ય પ્રતિમાની સામે કોઈ બાળક પોતાની હથેળીમાં એનાં નાનકડા બુદ્ધને લઈને આવે એમ, નિયતિએ મારા ભાગના જે બાપુજી આપ્યા છે એની મારે વાત કરવી છે.

સમાજમાં કેટલાંક લોકો એવાં હોય છે કે જે કેવળ આપવા માટે જ જન્મ્યા હોય છે. આપણે એમની પાસે જાણે ભવોભવનું લેણું નીકળતું હોય એમ એ સમાજને જીવનભર આપ્યા જ કરે છે. બાપુજીએ એમના જીવનકાળ દરમ્યાન અગણિત વ્યક્તિઓના જીવનને શિક્ષણ, જ્ઞાન, માર્ગદર્શન, પ્રોત્સાહન, આર્થિક સહાય, કારકિર્દીની તકો એમ અનેક રૂપે ઉજાળ્યા છે, એમાં જય નામનું એક કોડિયું પણ શામેલ જેમાં એમણે તેલ પુર્યું એની વાત કરવી છે. તમે વિચાર કરો કે ભાવનગરમાં ધો.09 માં ભણતા એક છોકરાને અમરેલીની કોઈ શાળામાં થતાં કાર્યક્રમ વિષે જાણવાની શું જરૂર હોય? અમરેલીમાં એ શ્રી ભદ્રાયુભાઈ, ડો.શરીફાબેન, શાહબુદ્દીન રાઠોડ સાહેબ કે ડો. વસંતભાઇ પરીખ જેવાં સારસ્વતોને વક્તવ્ય આપવા બોલાવે એની આમંત્રણ પત્રિકા મને મોકલે. એટલું જ નહીં, ટપાલમાં એ કાર્યક્રમ વિષે વાતો પણ કરે. ઉમાશંકરથી અનિલ જોશી અને મુનશીથી મહેન્દ્ર મેઘાણી સુધીના સર્જકોનો પરિચય મને આ રીતે થયેલો અને સાથેસાથે સાહિત્ય પ્રત્યે રસરૂચિ પણ કેળવાતા ગયા. બાપુજીએ મને વિંસેંટ વાન ગોગની જીવનકથાનો અનુવાદ સળગતા સૂરજમુખી ની ઝેરોક્સ કરાવીને મોકલી હતી એ મને હજી યાદ છે. ટીનએજમાં થાય એમ ઉત્સાહના ઉભરા આવતાં અને દેશભક્તિનો આફરો ચડતો એમાં એકવાર હું સ્વદેશીની જિદે ચડ્યો હતો. (જિદ્દી તો હું પહેલેથી જ ખરો!) ઘરમાં સાબુથી લઈને સઘળી વસ્તુઓ સ્વદેશી જ હોવી જોઈએ એ મુદ્દે મેં ઘરમાં ઉત્પાત મચાવ્યો. આખરે પપ્પાએ બાપુજીને વાત કરી અને એમણે મને ટપાલ-ફોનમાં સમજાવ્યું કે સ્વદેશીનો આગ્રહ સારો પણ દુરાગ્રહ નહીં સારો અને એમ એક ટીનએજરને અર્થતંત્ર, વ્યાપારજગત વગેરેની પ્રાથમિક સમજણ આપી. મને આવા કોઈપણ તરંગો ઉપડે અને હું કોઈનાથીય હેન્ડલ ન થાઉં ત્યારે આખરી ઉપાય તરીકે બાપુજીની મદદ લેવામાં આવે કેમ કે ઘરમાં સૌ સમજતાં કે હું એમનો શબ્દ ક્યારેય ઉથાપી ન શકું. મારી અને મારા વિષેની ઘણી ફરિયાદો એમણે સાંભળી છે.



“જીવનમાં સાચી વીરતા આઘાતો સહન કરવામાં છે અને આઘાત સહન કરવાની ક્ષમતા સાહિત્યમાંથી સાંપડે છે.”

એમનાં આ શબ્દો એ મારું ધ્રુવવાક્ય બની રહ્યું. રૂપાયતન સંસ્થામાં બાળકો માટેની એક તાલીમ શિબિરમાં ભાગ લીધો ત્યારે માત્ર એક જ વાર એમનાં વર્ગમાં બેસવાનું થયું અને મને થયું કે આ સાહેબનાં વિદ્યાર્થીઓ કેવાં સત્કર્મો લઈને આવ્યાં હશે! એ રૂપાયતનનો અંક ઋત્વિજ મને મોકલ્યો હતો અને મેં સહજપણે તેનો પ્રતિભાવ લખી મોકલ્યો હતો. થોડા સમય પછી એક બીજું પુસ્તક મળ્યું જેમાં ઋત્વિજ વિશેના પ્રતિભાવો એ શીર્ષક હેઠળ મોટાં મોટાં નામોની વચ્ચે જય મહેતા, ધો. 09, ભાવનગર એવું વંચાતું હતું. એ મારા જીવનનું પ્રથમ પ્રકાશિત લખાણ.

સમગ્ર અસ્તિત્વ પરમાત્માનું રૂપાયતન છે.” એ વાક્યનો અર્થ હું એમને પૂછું અને એ સમજાવે, રસ્તે ચાલતા ક્યાંક કોઈ ઘરનું નામ વાંચું– સુશ્રુત અને એનો અર્થ પૂછતાં એ સમજાવે, વિનોબા ભાવેની પ્રવૃત્તિઓ વિષે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનના ઇતિહાસ વિષે, જયંત ખત્રી – ચેખોવની વાર્તાઓ વિષે, શેક્સ્પીયરના નાટકો વિષે (Hamlet નો સંવાદ:- What do you read my Lord? Words, Words, Words! સૌથી પહેલા એમની પાસેથી સાંભળ્યો હતો) .... કેટકેટલું મેં એમની પાસેથી જાણ્યું છે! મારા પપ્પા અને બાપુજી – આ બે વ્યક્તિઓએ મને સાહિત્યમાં રસ લેતો કર્યો, પુસ્તકો વાંચતો કર્યો અને જો એ ન થયું હોત તો હું આજે શું હોત એ કલ્પના પણ ડરાવી મૂકે છે!

આ બધુ તો બરાબર, પણ એમનાં સદ્દગુણોની સુગંધ જે આજેય મારા મનને મહેકાવે છે એની વાત કર્યા વિના નહીં ચાલે. આપણે ફોન કરીએ અને સામેથી હા  જી’, કે હા ભાઈ જેવા શબ્દો સંભળાય ત્યારે ધોમધખતા તાપમાનથી એરકન્ડિશન્ડ રૂમમાં પ્રવેશ્યા હોઈએ એવું લાગે. એમની વાણીમાં હિમાલયની શીતળતા છે તો નિર્ણયોમાં પહાડની અડગતા છે. એ આબાલવૃદ્ધ સૌને પોતાના લાગે એવા છે, અજાતશત્રુ છે, ઘર પર આવતી મુસીબતો સામે અડગ, અભેદ્ય દિવાલ છે. દરેક રોલમાં એમણે પોતાનું 200% સમર્પણ ઠાલવ્યું છે અને ખાસ તો મારા પપ્પાના ઝંઝાવાતી જીવનમાં એમણે જે છત્ર પૂરું પાડ્યું છે એ શબ્દાતીત છે.

मुस्काता ये चेहरा, देता है जो पहरा

जाने छुपाता क्या दिल का समंदर

औरों को तो हरदम साया देता है

वो धूप में है खड़ा खुद मगर

સૌથી મહત્વની બાબત – કોઈપણ સંબંધમાં એમણે આપેલ space/સ્વતંત્રતા. મેં એમને ક્યારેય કોઈના માટે possessive થતાં જોયા નથી. અરે, એમનાં વિચારોથી વિપરીત વિચારતા હોઈએ કે વર્તતા હોઈએ તોપણ નહીં. એ અર્થમાં એ યથેચ્છસી તથા કુરુ ના માણસ છે. કોલેજકાળમાં તો મને એમનું ઘર Utopia લાગતું. કરોડોનો વહીવટ કરતાં ઉદ્યોગપતિઓથી માંડીને રિક્ષાવાળા સુધીના સૌની સંવેદનાને સમજવાની અને સ્વીકારવાની વિશાળતા એમની પાસેથી શીખવા મળે છે. ભાવનગરમાં એકવાર મેં એક રિક્ષાવાળા સાથે bargain કર્યું ત્યારના એમના શબ્દો:-

“ભાઈ, આ લોકો સાથે બહુ રકઝક ન કરવી. એમને ગુજરાન ચલાવવામાં પણ તકલીફ પડતી હોય છે.”

આ છે સાહિત્યની સંવેદના! આ લોકડાઉનમાં આ વાત કેટલી પ્રાસંગિક લાગે! જો કે, એમની આ માનવતાનો દુરુપયોગ પણ થયો છે પણ એ તો... કોઈ આંબાને પત્થર મારે તો એ કંઇ કેરીઓ આપવાનું બંધ તો ન કરી દે ને! કદાચ આ સંવેદના જ છે કે અસંખ્ય લોકોએ પોતાના કૌટુંબિક પ્રશ્નોમાં આ ઋજુહ્રદયી વિદ્યાપુરુષની સલાહ પ્રમાણે માર્ગ કાઢ્યો હોય.

આપણે ત્યાં એક ગેરમાન્યતા છે કે સાહિત્યના માણસને જાહેરજીવન કે વહીવટમાં કંઇ ગતાગમ ન પડે. મારા જેવા લુચ્ચા પ્રાણીઓએ આ છટકબારીનો ઉપયોગ પણ કર્યો છે પરંતુ બાપુજીને સાહિત્યના વિશાળ જ્ઞાનની સાથે વહીવટી કુશળતા અને કોઠાસૂઝ પણ પ્રાપ્ત થઈ હોવાને લીધે અનેક સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ કે ઉદ્યોગગૃહોના માર્ગદર્શક તરીકે તેમણે સેવાઓ આપી છે અને એ બધાને જટિલ પ્રશ્નોનાં નિરાકરણ સુધી પહોંચાડયા છે.


આજે જ્યારે રોટી, કપડાં, મકાનની સાથે social media માં likes અને views માણસની પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યાં છે ત્યારે આપણે એ પ્રજ્ઞાપુરુષ વિષે વાત કરી રહ્યાં છીએ જેમણે ક્યારેય, અજ્ઞાતમનના કોઈ અગાધ ખૂણેય પ્રસિદ્ધિની લાલસા રાખી નથી. જો એમણે ધાર્યું હોત તો અખબારો, પુસ્તકોમાં લખીને અઢળક ધન, યશ, અને નામ કમાયા હોત પણ એમણે તો સેવા અને શિક્ષણની ધૂણી ધખાવી છે.

શિક્ષકોની બીબાંઢાળ તાલીમોમાં સંસ્કાર સિંચન’, મૂલ્યનિષ્ઠ કેળવણી જેવાં શબ્દો યંત્રવત ફંગોળાતા હોય છે ત્યારે મારા-તમારા જીવનમાં આવી હસ્તીઓ આપણને ખબરેય ન પડે એમ સંસ્કારો શીખવી દેતી હોય છે. મરીઝ સાહેબ લખી ગયા છે:-

“દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ;

ચૂકવું બધાનું દેણ, જો અલ્લાહ ઉધાર દે!”

હવે એમને કેમ સમજાવવું કે અમુક દેણ તો આ જન્મારે ચૂકવાય એમ જ હોતાં નથી, અથવા તો કદાચ એને અલગ રીતે ચુકવવાના હોય છે. જેમ વાદળનું પાણી વરસીને નદી સાથે વહે, સમુદ્રમાં ભળે, ત્યાંથી ફરી પાછું વરાળ બની વાદળ બંધાય એમ જીવનચક્રમાં આપણને આપણાં પૂર્વસુરીઓ પાસેથી જે મળ્યું છે એ આપણી આસપાસના લોકોને અને આગામી પેઢીને યથાતથ પહોંચાડવું એ આપણું કર્તવ્ય બને છે. એ દિશામાં baby steps લઈ રહ્યો છું (આ લખાણ પણ એવો જ એક પ્રયત્ન સમજવો) પણ હજી તો ઘણું કરવાનું બાકી છે. Miles to go before I sleep!

                                -  ©   ડો. જય મહેતા

Tuesday, September 22, 2020

Nude Poems: આત્માનું નગ્ન સૌંદર્ય


પુસ્તક:- Nude Poems

લેખક:- વિશાલ ભારદ્વાજ

અનુવાદ:- સુક્રીતા પૉલ કુમાર

પ્રકાશક:- HarperCollins Publishers India

વર્ષ:- 2020

Reunion

"जिस्म जला लकड़ी पे उसका

नाम ज़बां में दफ़्न हुआ

चेहरा बुझकर ख़ाक़ हुआ

बाज़ू -टाँगे राख हुई

लम्बा चौड़ा भाई मेरा

अब कपडे की छोटी सी

थैली में भर आया था

जिसे नदी में उंडेल दिया

उसी नदी के घाट किनारे

बैठ के सोचता हूँ अक्सर

इक दिन इस में बहकर मैं

उससे मिलने जाऊंगा"

આહા! કેટલી સુંદર કવિતા લખી છે વિશાલ ભારદ્વાજે! શું કીધું? વિશાલ ભારદ્વાજે લખેલી કવિતા? અરે ભાઈ, કોઈ ગેરસમજ થઈ લાગે છે. વિશાલ ભારદ્વાજ તો ફિલ્મ્સ બનાવે છે, મ્યુઝિક તૈયાર કરે છે. એ વળી કવિતા ક્યારથી લખતા થઈ ગયા?

એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રીસેક વર્ષથી – અંગ્રેજીમાં જેને closet poet કહેવાય છે એવું.

મકડી’, સાત ખૂન માફ’, કમીને’, વગેરે જેવી ફિલ્મ્સ બનાવનાર અને શેક્સ્પીયરના ટ્રેજિક ડ્રામાને ઓમકારા’, મકબૂલ’, અને હૈદર જેવી અદ્ભુત ફિલ્મ્સ દ્વારા સિનેમાના પરદે રજૂ કરનાર વિશાલ ભારદ્વાજનો પહેલો કાવ્યસંગ્રહ એટલે Nude Poems. કેટલાંકને આ નામ અજીબ લાગ્યું હશે પણ અહીં આત્માની અસલિયતને ઉઘાડી પડતી કવિતાઓની વાત છે. It’s all about the nudity of human emotions. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે: -આમ તો એ સંગ્રહનું નામ ‘Naked Poems’ રાખવા માગતાં હતાં પણ એમનાં ગુરુ અને પિતાતુલ્ય મિત્ર એવા ગુલઝાર સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું:- “તારી ફીલ્મોના નામ પણ કમીને જેવા રાખે છો અને હવે કાવ્યસંગ્રહનું નામ પણ Naked રાખવું છે! એનાં કરતાં Nude બરાબર રહેશે. Nude તો કળાનો એક પ્રકાર છે.


(Semi Abstract Painting by Chaula Doshi)

વિશાલ ભારદ્વાજના શબ્દોમાં કહીએ તો:-

गौर से देखो nude painting को

कितनी पाकीज़गी झलकती है!

Beauty lies in the eyes of the beholder. સુંદરતા જોનારની દ્રષ્ટિમાં હોય છે. ખજુરાહોના શિલ્પોમાં નગ્નતા હોવાં છતાં એ કુરૂપ લાગતું નથી. ચૌલા દોશીના ચિત્રો કે ગૌરાંગ આનંદની ફોટોગ્રાફીમાં માનવદેહનું જે નિષ્કલંક સૌંદર્ય ઝીલાય છે એને વિશાલ ભારદ્વાજ શબ્દદેહ આપે છે. આપણાં દંભકેંદ્રી સમાજમાં શરીરની નગ્નતા તો હોબાળો મચાવી જાય છે પણ માણસ નિયતથી નગ્ન હોય એને કોઈ વાંધો આવતો નથી. આ જ શાયરની એક ગઝલ જોઈએ:-

आँखों में दिल के मनसूबे नंगे हैं

सब अपने कपड़ों के नीचे नंगे हैं

पांच सितारा होटल के चौराहे पर

कितने सारे बच्चे भूखे-नंगे हैं

चिथड़ों में छुपते अधनंगो से बढ़कर

हम कपड़ों में छुपनेवाले नंगे हैं

सच्चाई दिखलाते हैं वो परदे पर

सब कहते हैं फिल्मोंवाले नंगे हैं

5-સ્ટાર હોટેલની સામે, ચીંથરેહાલ જીવતા લોકો ને એમનાં ભૂખ્યા બાળકો..... આ તબક્કે હિતેન આનંદપરાની પંક્તિ યાદ આવે જ ને!

“આ ફૂટપાથે બાળક ભૂખ્યા પેટે આંસુ પીવે ઉના શ્વાસે

ને સામેની ફૂટપાથ ઉપર હોટલ આલીશાન મળે ને,

ત્યારે સાલું લાગી આવે!”

પરદા પર સચ્ચાઇ દેખાડનારા ફિલ્મવાળાઓને બેશરમ કહેવામા આવે છે પણ આજના માહોલમાં એ વિષે કઈ ન કહીએ એ જ યોગ્ય રહેશે. આ સંગ્રહમાં 25 ગઝલો અને 25 નઝમો છે જેમાંથી પસાર થવાનો લ્હાવો લેવા જેવો છે. (જો કે, બધી કવિતાઓ કંઈ અદ્ભુત નથી.)  તેની પ્રસ્તાવના ગુલઝાર સાહેબે લખી છે. એક ઇન્ટરવ્યુમાં પ્રકાશકે કહેલું કે ગુલઝાર સાહેબની વિનંતી હતી કે સરપ્રાઈઝ માટે એમની લખેલી પ્રસ્તાવના વિશાલ ભારદ્વાજથી છુપાવી રાખવામા આવે, અને વિશાલની વિનંતી હતી કે એમણે એમની પત્ની રેખા (જે પોતે ખૂબ સારી ગાયિકા છે) અને પુત્ર આસમાનને આ પુસ્તક સમર્પિત કર્યું છે એ લખાણ એમનાથી છુપાવવામાં આવે. આટઆટલું છુપાવવાનું અને નામ NUDE POEMS!



જ્યારે ગુલઝાર સાહેબ જેવી પ્રતિભા એમ કહે કે ક્યારેક હું મારી ગઝલો ના શેર વિશાલ પાસે ચેક કરાવું છું” તો એ કેટલી મોટી વાત છે! વિશાલની રચનાઓ ઉપર ગુલઝાર ઉપરાંત ડો. બશીર બદ્રની રચનાઓનો પ્રભાવ સ્પષ્ટ જોઇ શકાય છે. એ પોતે નિખાલસ કબૂલાત કરે છે કે એમની રચનાઓ ગુલઝાર સાહેબની કૃતિઓની કાર્બન કોપી જેવી લાગે છે.

હવે આ કલ્પન જુઓ:-

दो जुड़वा आँखे

जिनके चलते-रुकते धारे

जंगल की पगडण्डी जैसे

गालों पे ये सूखे आंसू

ફિલ્મ બંટી ઔર બબલી ના ગીત કજરારે કજરારે ની આ પંક્તિ યાદ આવે:-

आँखे भी कमाल करती हैं

personal से सवाल करती हैं

पलकों को उठाती ही नहीं

पर्दे का खयाल करती हैं

અથવા તો આ:-

मेरी हथेली पे उसने चाँद बोया था

હવે આ ચાંદના કલ્પનને તો ગુલઝાર સાહેબે ગીતોમાં અને કવિતાઓમાં જે અદ્ભુત રીતે રમાડયું છે એ કહેવાની જરૂર ખરી? તેનાં વિષે તો અલગથી એક લેખ લખ્યો છે.

તો વિશાલત્વ ની ઝલક મળે એવું શું લખ્યું છે એમણે?

જવાબ:- એમનું diction. તેમાં અત્યારની પેઢીની બોલચાલની ભાષાનો ઉપયોગ જોવા મળે છે. આપણે હવે બહુ સહજપણે ગુજરાતી વાકયોમાં અંગ્રેજી શબ્દો મૂકતાં હોઈએ છીએ. આ જુઓ:-

Bedroom की ceiling पे घुन-घुन करती

Tubelight की मातमी रौशनी के नीचे

कीड़े के तआक्कुब में चिपकी एक छिपकली

આમ, આ સંગ્રહની રચનાઓમાં હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓનો સંગમ જોવા મળે છે. (तआक्कुब  જેવા શબ્દો ન સમજાય તો દરેક કૃતિની સામેનાં પાને સુક્રીતા પૉલ કુમાર દ્વારા કરાયેલ અનુવાદ પણ આપેલાં છે પણ એ અનુવાદના પાસાની ચર્ચા અહીં સભાનપણે ટાળી રહ્યો છું.)

વધુ એક ઉદાહરણ જોઈએ:-

वो बात करते करते  ही खामोश हो गया

मुझको लगा की network टूटने लगा

હવે આ Network શબ્દનું ભાષાંતર થાય નહીં, ને થાય તોય એ કરાય પણ નહીં. Network, Text, charger, Sim-Card જેવા શબ્દોને એમનેમ રાખીએ તો જ સારું. કવિતામાં આવા આધુનિક જીવનશૈલીના પ્રતીકો તાજગીસભર લાગે છે.

આ સંગ્રહની રચનાઓના વિષયોમાં પ્રેમ, પીડા, જીવન, મૃત્યુ, પ્રાકૃતિક સૌંદર્ય વગેરે તો છે જ પણ સાંપ્રત સમસ્યાઓનો પડઘો ઝીલાયો છે. ખરેખર તો એક લેખક પોતાની સામાજિક નિસ્બત અંગે પોતાની અભિવ્યક્તિ ન કરે ત્યાં સુધી એનું કર્મ અધૂરું ગણાવું જોઈએ.

भीड़ ने जिसको ज़िंदा भून दिया उसके

घर में गाय का मांस था ऐसा कहते हैं

કવિતા એ જીવનના ઉઝરડાઓનું શબ્દમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે એવું કહીએ તો ખોટું નથી. એ ઉઝરડા કોઈ સંબંધની દેન હોય કે પછી કોઈ સામાજિક ઘટનાનું પરિણામ પણ હોઈ શકે. એક ઇન્ટરવ્યુમાં વિશાલ ભારદ્વાજે કહેલું કે 1985 માં મેરઠમાં જ્યારે તેમનો પરિવાર ભાડે રહેતો હતો ત્યારે એક દિવસ એમણે સવારે ક્રિકેટની પ્રેક્ટિસ પતાવીને ઘરે આવીને જોયું તો મકાનમાલિકે (મામલો કોર્ટની બહાર સેટલ થયેલ હોવા છતાં) એમના પિતાને ઘરવખરી સહિત બહાર, રસ્તા પર ફેંકી દીધા હતા. પિતાને જેમતેમ કરીને પડોશીના ઘરે મૂકીને એ દવા શોધવા નીકળ્યો પણ પાછો આવ્યો ત્યારે ............

અને હવે તૂફાન નામની આ નઝમ:-

एक आंधी थी आँगन  उड़ा ले गई

मेरा घर-बार उस रोज़ सड़कों पे था

बूढ़ा बरगद उखड़ के ज़मीं पे गिरा

और जड़ें उसकी आकाश छूने लगीं

ડો. બશીર બદ્ર અને ગુલઝાર ઉપરાંત જો કોઈ સર્જકની એમનાં પર પ્રગાઢ અસર હોય તો એ છે વિલિયમ શેક્સ્પીયર. એમનાં શબ્દોમાં કહીએ તો શેક્સ્પીયર એમનું trump card છે. અગાઉ ઉલ્લેખ કર્યો એ ત્રણ ફિલ્મ્સ તો ખરી જ પરંતુ પદ્યમાં ક્યાં શેક્સ્પીયરની અસર દેખાય છે એનું એક જ ઉદાહરણ લઈએ:

इतना धीमे धीमे वक़्त गुज़रता है,

कोई अहमक जैसे सुनाए अफ़साना !

(અહમક:- મૂર્ખ માણસ)

શેક્સ્પીયરના નાટક મેકબેથ ના પાંચમાં અંકમાં લેડી મેકબેથના મૃત્યુ બાદ વિષાદની અવસ્થામાં મેકબેથ એકોક્તિ આપે છે:-

“Life’s but a walking shadow, … … … It is a tale
Told by an idiot, full of sound and fury,
Signifying nothing.”



ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેવી ચમકદમકવાળી અને લપસણી દુનિયામાં સાહિત્યિક મૂલ્યોને જાળવીને ફિલ્મ્સ બનાવવી એ દોરડા પર ચાલવા જેવું કપરું છે. મકબૂલની સ્ક્રીપ્ટ લઈને એ જ્યારે ફાઇનાન્સર્સને મળતાં ત્યારે તે પૂછતાં:- “બધું બરાબર પણ આમાં તો હીરો loser છે અને છેલ્લે મરી જાય છે. એવું કેમ?” એકે તો સલાહ પણ આપી કે આ સ્ક્રીપ્ટ ઉપર જે લખ્યું છે:- “Based on Shakespeare’s Play Macbeth” એ કાઢી નાખજો નહીંતર એ કોઈ અઘરી સાહિત્યકૃતિ હશે એમ માનીને કોઈ ફાઇનાન્સ નહીં કરે. બોલો!

- © ડો. જય મહેતા

Monday, September 14, 2020

આંસુભીનો ઉજાસ – વ્યક્તિ થી સમષ્ટિ સુધી

 



તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

-     મૂકેશ જોશી

જ્યારે કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળે ત્યારે શું થાય? અસંખ્ય લોકોનાં જીવનમાં એ બનતું જ હોય છે. સામાન્ય રીતે કોઇ સજ્જન, સંસ્કારી છોકરો એની પ્રેમીકાને ગુમાવે ત્યારે અસહ્ય પીડા અનુભવે પણ સમય સાથે એનો ઘા રુઝાઇ જાય, માથાફરેલ હોય તો છોકરીને હેરાન કરે અથવા તો એ દેવદાસ કે કબીર સિંઘ બનીને વ્યસનથી વિનાશ નોતરે – પોતાનો અને પ્રિયજનોનો. ક્યારેક એવું પણ બને કે પ્રેમની નિષ્ફળતા માણસના જીવનનું વહેણ બદલી દે અને એને કોઈ સર્જનાત્મક પ્રવૃતિ તરફ વાળે – દિલિપ રાણપુરાની નવલકથા આંસુભીનો ઉજાસ (1984) ની જેમ.

આજથી પાંત્રીસ વર્ષ પહેલાં પ્રગટ થયેલી આ નવલકથા પીડામાંથી પરમની પ્રાપ્તિ નો જયઘોષ કરે છે. જ્યારે હ્રદયભંગ થાય ત્યારે વ્યક્તિને પરિવારજનો, સમાજ અને ઈવન ભગવાન સુધીના પર નફરત થઈ આવતી હોય, જીવન અંધકારમય લાગવા માંડે, આત્મહત્યા સુધીનાં વિચારો આવી જાય પણ થોડાક વર્ષો પસાર થાય ત્યારે કદાચ એને જ સમજાય કે જે થયું એ માત્ર કોઈ રેંડમ દુર્ઘટના નહોતી, એની પાછળ નિયતિનું કોઈ ચોક્કસ પ્રયોજન હતું – Divine Design હતી.

વસુધા નામના એક મૂલ્યસિંચન કરનાર, શ્રમપ્રધાન આશ્રમમાં ભણતો દેવરાજ એને ગમતી કન્યાને પરણી શકતો નથી. કારણ? જાતિ. એ ડંખ એને જીવનભર પજવે છે અને જન્મ કરતાં કર્મ મહાન છે એ સાબિત કરવા પોતાના વતનમાં, સાવ અંતરિયાળ ગામમાં પહોચીને મોટાપાયે ગ્રામઉત્થાનના કાર્યો આદરે છે. એ જાકારો, એ નિષ્ફળતા, છાતીનો એ કારી ઘાવ એનાં માટે ઉર્જાકેન્દ્ર બની રહે છે. એ દરમ્યાન એને માણસની જિંદગીની રાક્ષસી વાસ્તવિક્તાનો પ્રત્યક્ષ પરિચય થાય છે. દુકાળની ભયાનકતા, ગરીબી, સરકારી તંત્રની નીંભરતા, જાતિભેદ, જુનીપુરાણી ને જડ માન્યતાઓ વગેરે સામે લડતા લડતા એ અસંખ્ય લોકોનો આદર, સ્વીકાર અને પ્રેમ પામે છે – જેની એને કાયમ ઝંખના રહી હતી.

આ કૃતિની સબળતા ગણો કે સદભાગ્ય એ છે કે પ્રખર વિચારક શ્રી મનુભાઈ પંચોળી દર્શક સાહેબે આ નવલકથાની પ્રસ્તાવના લખી છે. તેઓ નોંધે છે: –

“આંસુભીનો ઉજાસ લઈને તે આવ્યાં છે ત્યારે બેચેની, બેહાલી, બદનસીબીના કડવાટના ઘૂંટના ઘૂંટ પીધા પછી સાંપડે છે થોડો ઉજાસ – અને તે પણ આંસુભીનો. ઈશુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું કે, તમને ખરેખર કહું છું કે દાણો જ્યાં લગી ભોંયમાં દટાઈ સડી ન જાય ત્યાં સુધી નવો છોડ ઊગતો નથી. દટાઈને ઉગવું – આંસુભીનો ઉજાસ બધું એક જ. ભારે કિંમત ચુકવ્યા વિના કોઈ મૂલ્યવાન વસ્તુ સાંપડતી નથી.”

તેઓ આગળ નોંધે છે કે જાતિના લીધે તો કર્ણ પણ દ્રૌપદીને પામી શક્યો નહોતો પણ તે નફરત અને વેરભાવથી દોરવાઈને દુર્યોધનના પક્ષે જઈ બેસે છે કારણ કે એને પ્રેમ પારસમણિનો સ્પર્શ નહોતો થયો. એને મન તો ધનુષવિદ્યા જ કેન્દ્રમાં હતી. દેવરાજનું પાત્ર એટલા માટે જ હ્રદયને સ્પર્શે છે કે એ વેદનાથી સંવેદના સુધી પહોચે છે અને જનસામાન્યનાં આંસુઓ લૂછવા તત્પર બને છે. જો કે, એની રાહ પણ આસાન નથી. આર્થિક મુશ્કેલીઓ, ચારિત્ર પર શંકા, ઈર્ષ્યા અને ટાંટિયાખેંચનો એ શિકાર બને જ છે પણ તૂટતો નથી કેમ કે રેગિસ્તાનને નંદનવનમાં પલટાવવા એ પ્રતિબદ્ધ છે. એ વિચારે છે:-

“હું એકલો નથી. ભગવાને કેટલાં બધાં માણસો મારી આસપાસ મોકલી આપ્યાં છે! બધાં મારી સાથે છે, મને પ્રેમ કરે છે. સરોજને છીનવી લેવામાં આવી તો ભગવાને મને કેટલાં બધાં માણસોનો પ્રેમ આપ્યો! મને કેટલો ભરી દીધો! સરોજના પ્રેમે મને ભાંગી ન નાખ્યો, રચનાત્મક માર્ગે વાળ્યો.”

Blessing in Disguise ના આ મુખ્ય વિચાર ઉપરાંત પુસ્તકનો ગામઠી પરિવેશ, રાજકારણના રંગો, ખેતીપ્રધાન ગણાતા દેશમાં ખેડૂતોની સમસ્યાઓ વગેરે રસપ્રદ છે. હા જો કે, તળપદી ભાષા અને વર્ણનો ક્યાંક કોઈકને અઘરા લાગી શકે પણ એ અનિવાર્ય છે. સંવાદો પણ ચોટદાર છે. એક કામના સંદર્ભમાં ગામનો જુવાન દેવરાજને કહે છે: -

એ તો વેણીરામ બધું ફોડી લે.” ત્યારે એનો જવાબ:-

“આપણે ફોડવું નથી, સાંધવું છે.”

અને હવે આ જુઓ:-

“દેવા, મને તારી ચંત્યા થાય છે.”

શાની?’

તું આંય એકલો પડ્યો રે છે, તે કોક રાતે ન કરે નારાયણ ને...

એવી બીક ન રાખ. અહીં તો ભગવાનનો આશરો છે. ને આશરે આવેલાને એ નહીં સાચવે તો એને પૂજશે કોણ?’

આ નવલકથા વિષે વરિષ્ઠ ગુજરાતી લેખક શ્રી રઘુવીર ચૌધરીના વિચારો પણ જાણવા યોગ્ય છે :-

“લેખકે મુખ્ય પાત્ર દ્વારા ઇતિહાસની સાચી સમજણ વ્યક્ત કરી છે. આઝાદી પૂર્વેના ઝાલાવાડની સામાજિક અને આર્થિક સ્થિતિ અને આઝાદી પછીના એ પંથકનું નવનિર્માણ અહીં એક સાથે જોવા મળે છે. માત્ર પરિસ્થિતિ બદલવાની હોત તો કામ સહેલું હતું. લોકોની મન:સ્થિતિ પણ બદલવાની છે.”

આ કૃતિમાં દિલિપ રાણપુરા આ બંને કામ બખૂબી પાર પાડી શક્યા છે એવું કહી શકાય.

Link of Gujarat Sahitya Academy's video:-

https://www.youtube.com/watch?v=_oKj6aYCZ-k

-    ડો. જય મહેતા

Monday, September 7, 2020

મન્ટો: છાતીમાં ભૂકંપ લાવનાર લેખક

 



પુસ્તક:- વિનોદી જીવનચરિત્રો

લેખક:- વિનોદ ભટ્ટ

પ્રકાશક:- નવભારત સાહિત્ય મંદિર

વર્ષ:- 2003

શબ્દોના ડાઈનેમાઈટથી દંભને વેરણ-છેરણ કરનાર લેખક એટલે મન્ટો. સહેજેય politically correct થયા વગર, શબ્દો ચોર્યા વગર લખનાર લેખક એટલે મન્ટો. સમાજની આંખમાં આંખ પરોવીને વાત કરનાર વાર્તાકાર એટલે મન્ટો. મન્ટો મહાન હતા કે માથાફરેલ? બિન્દાસ હતા કે બેશરમ? એસિડિક હતા કે આખાબોલા? એ આ બધું જ હતા. તમામ દ્વંદની પેલે પાર જઈને, સમાજના અંધારા ખૂણામાં ટોર્ચ ફેંકીને એની અસલિયત તરફ ધ્યાન દોરનાર મહાન ઉર્દુ વાર્તાકાર એટલે સઆદત હસન મન્ટો.



આજે વાત કરવી છે પ્રસિદ્ધ ગુજરાતી લેખક શ્રી વિનોદ ભટ્ટના પુસ્તક વિનોદી જીવનચરિત્રો નાં એક અંશ વિષે. તેમાં એંટોન ચેખોવ, ચાર્લી ચેપ્લિન, જ્યોર્જ બર્નાર્ડ શો અને સઆદત હસન મન્ટો એમ ચાર જીવનકથાઓ છે. તેમાં મન્ટોની કથાનું શીર્ષક તો જુઓ:- મન્ટો: એક બદનામ લેખક’. તેઓ નોંધે છે કે ઉર્દુ સાહિત્યમાં મન્ટો જેટલો બદનામ લેખક ભાગ્યે જ બીજો કોઈ હશે. જો કે, બદનામ શબ્દમાં પણ નામ તો આવે છે, એ પણ આશ્વાસન તેઓ લઈ શક્યાં હશે. પોતાનાં સમયથી વહેલા જન્મવાનાં ગુન્હાની સજારુપે તેઓ સમયની પહેલા ગુજરી પણ ગયા અને ખાતું સરભર કરી આપ્યું! અહીં મરીઝ સાહેબનો શેર યાદ આવે:-

“દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું;

મૃત્યુનું બહાનું કરી, આ પાછો ફર્યો લે!”

મન્ટોને મોકલતી વખતે તો નહીં પરંતુ પાછા બોલાવતી વખતે એ બડે માલિક બહુ પસ્તાયા હશે એમાં બેમત નથી. સમાજના સુષુપ્ત આત્માને જગાડવા માટે, under the carpet reality બહાર લાવવા માટે સમયાંતરે કોઈ વિચારક, કોઈ સર્જક, કોઈ કલાકાર અવશ્ય આવે છે અને સદીઓ સુધી ન ભૂલાય એવું પ્રદાન કરી જાય છે. ઓશો, કમલા દાસ, ચંદ્રકાંત બક્ષી, ખુશવંત સિંઘ વગેરે. મન્ટોને પણ આ શ્રેણીમાં મૂકી શકાય.

   મન્ટોની વાર્તાઓ વાસ્તવિક હતી અને એટલે જ વિસ્ફોટક પણ હતી. Edgar Allan Poe ની એક વાર્તામાં એક વાક્ય છે:- “Truth is stranger than fiction.” તેની કલમ સમાજનાં વિચિત્ર અને વરવા વાસ્તવ પર નિષ્ઠુરતાથી ચાલતી હતી અને સ્વાભાવિક છે કે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમ આપણે ત્યાં ચંદ્રકાંત બક્ષીની વાર્તા કુત્તી પર કેસ ચાલેલો એમ તેની કાલી સલવાર’, બૂ’, ઠંડા ગોશ્ત’, ધુંઆ’, અને ઉપર, નીચે ઔર દરમ્યાન એમ પાંચ વાર્તાઓ પર અશ્લીલતાનાં કેસ થયાં હતાં. 1942માં તેની વાર્તા કાલી સલવાર બદલ તેને બ્લેકલિસ્ટ કરાયા  હતા એ વિષે તેમનું શું કહેવું હતું?

“આ વાર્તામાં અશ્લીલ કશું જ નથી. આ વાર્તા વાંચીને લોકો વેશ્યાના ઘર તરફ દોડવા માંડે છે? ના, સ્હેજ પણ નહીં – કેમ કે આ વાર્તા એવા આશયથી લખાઈ જ નથી. આવી વાર્તાઓ જાતિય ઉત્તેજના માટે નથી લખાતી. મારી વાર્તાઓ વાંચ્યા વગર પણ સેંકડો પુરુષો વેશ્યા પાસે જાય છે, છતાં આ ભીડમાં તે એકલી પડી જાય છે, સાવ એકલીઅટૂલી. રાતના અંધારામાં ચાલતી ટ્રેનની જેમ મુસાફરોને તે તેમના મુકામ પર પહોંચાડે છે ને પછી છતની નીચે, ખાલીખમ થઈને પડી રહે છે. લોકો તેને દુષ્ટ ચરિત્રવાળી સ્ત્રી કહે છે. રાત્રિના અંધકારમાં પુરુષો જેની સોડમાં શાંતિ મેળવે છે ને એ જ પુરુષો દિવસના અજવાળામાં તેને તિરસ્કારે છે, ભાંડે છે. તેની સામે અણગમાથી જુએ છે, કેવળ દંભ. પણ આ સ્ત્રી ખુલ્લેઆમ પોતાનો દેહ વેચે છે, કશું છુપાવતી નથી.”

સમાજનાં દંભ પર મન્ટોએ તેમની વાર્તામાં વેધક પ્રહારો કર્યા છે. ગરીબી, ભૂખ, શોષણ, અન્યાય, કોમી હિંસા વગેરે વિષે લખતી વખતે એના શબ્દોમાંથી દર્દ ટપકતું અનુભવી શકાય છે. આ ઉપરાંત, આ પુસ્તકમાં મન્ટોની શરાબ અને સિગારેટની આદત, એમનાં જિગરજાન દોસ્તારો સાથેની યાદગાર પળો, મુંબઈ સાથેનો એમનો અતૂટ નાતો, એમની વાર્તાલેખનની પ્રક્રિયા વગેરે વિષે સરસ ચર્ચા કરવામાં આવી છે. મુંબઈને તે એટલું ચાહતા કે પોતાને હરતુંફરતું મુંબઈ” કહેતાં. તેનાં જીવન વિષે એક નાટક થયેલું છે જેનું નામ પણ ચલતા ફિરતા બંબઇ છે. ઠંડા ગોશ્ત’, કાલી સલવાર’, ટોબા ટેકસિંઘ વગેરેની વાત આ પુસ્તકમાં છે પણ અહીં હું એમની કોઈપણ વાર્તાની ચર્ચા સભાનપણે ટાળવા માગું છું અને ઈચ્છું છું કે વાચકો સીધાં જ એ વાર્તાઓ વાંચે.

આપણા મરીઝ સાહેબની જેમ જનાબ મન્ટોને પણ શરાબની લતે ખુવાર કર્યા, ઉપરથી જિદ્દી, ખુદ્દાર અને મુફલિસી મિજાજ, રોકડું પરખાવવાની આદત, અને પીડિતોનાં દર્દને મેહસૂસ કરી શકવાનો અભિશાપ! ગાલિબની જેમ કહેવાનું મન થાય કે:- “તુજે હમ વલી સમજતે, જો ના બાદાખ્વાર હોતા!”

એક વાત વાંચીને સુખદ આશ્ચર્ય થયું કે મન્ટોએ તેમના લખવાના ખંડમાં ભગતસિંઘનું પૂતળું રાખ્યું હતું. ઇન ફેક્ટ, તેમની સૌપ્રથમ વાર્તા તમાશા જલિયાંવાલા બાગની ઘટના પર કેન્દ્રિત હતી જે તેમણે પોતાના નામ વગર છપાવી હતી. તેમનાં પર વોલ્તેર, રૂસો, માર્કસ, લેનિન વગેરેનો પ્રભાવ હતો તો સાથે ચેખોવ, મોપાસા, વિકટર હ્યુગો અને સમરસેટ મોમ નો પ્રભાવ પણ હતો. એક ઠેકાણે વિનોદ ભટ્ટ નોંધે છે:- “મન્ટો કલમ તેજાબમાં બોળીને લખતો.”

વ્યંગ એ મન્ટોનું એક હાથવગું હથિયાર હતું. કબીર-કથાના એક ઉદાહરણથી સમજીએ:-

“શહેરનો એક મોટો નેતા ગુજરી ગયો. ચોતરફ શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. લોકો પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને ફરવા માંડ્યા. કબીરે આ જોયું તો તેની આંખ આંસુથી છલકાઈ ગઈ. કાળા બિલ્લાધારી એક જણે તેને પુછ્યું કે કેમ રડે છે? શું દુ:ખ છે? જવાબમાં કબીરે જણાવ્યું કે આ કાળી રીબનો ભેગી કરવામાં આવે તો તેમાંથી સેંકડો જણાનાં નગ્ન અંગ ઢાંકી શકાય. કાળા બિલ્લાવાળાએ કબીરને ફટકારવાનું શરૂ કરી દીધું:- તું કોમ્યુનિસ્ટ છે, પાકિસ્તાનદ્રોહી છે, ગદ્દાર છે. કબીર હસી પડ્યો. બોલ્યો:-

પણ મિત્રો, મારા હાથ પર તો કોઈ પણ રંગનો બિલ્લો નથી.

દાયકાઓ પહેલાં, પાકિસ્તાનમાં લખાયેલી આ વાત આજે 2020માં હિંદુસ્તાનમાં પણ કેટલી પ્રાસંગિક લાગે છે! જો કે, એ વાત અલગ છે કે આવું અત્યારે અહીં લખાયું હોય તો ..........

કદાચ એટલે જ આપણે ત્યાં આવું લખવાને બદલે મહદઅંશે લેખકો-કવિઓ ફૂલ ને ફોરમ, વૃક્ષ ને વાદળ, કૃષ્ણ ને રાધા, છોકરો ને છોકરી .... એવાં ગળચટ્ટા વિષયો પર લખતાં હોય છે.

મુઘલ-એ-આઝમ બનાવનાર કે. આસિફ એક વાર મન્ટો પાસે વાર્તા સંભળાવવા આવ્યાં અને એમને મન્ટોએ મજાકમાં કહી દીધું કે હું વાર્તા સાંભળવાનાં પૈસા લઉં છું. આસિફ તરત ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વારે એક માણસ મન્ટોને એક કવરમાં 500 રૂપિયા આપી ગયો. બીજે દિવસે કે. આસિફે તેની વાર્તા સંભળાવી. વાર્તા સાંભળીને મન્ટો સાહેબે ફેંસલો આપ્યો:- “વાર્તા બકવાસ છે.” કે. આસિફને નવાઈ લાગી એટલે એમણે ફરીથી પૂછ્યું તો મન્ટોનો જવાબ:-

“જુઓ આસિફસાહેબ, તમે એક મોટો વજનદાર પથ્થર લાવીને મારા માથા પર મૂકો. પછી એનાં પર મોટો હથોડો ઝીંકો તો પણ હું એમ જ કહીશ કે વાર્તા સાવ ભંગાર છે.” મન્ટોનો હાથ ચૂમતા આસિફ ત્યાંથી રવાના થયાં અને એ વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું. કેવી પ્રમાણિકતા, કેવી નિખાલસતા! આવાં તો અનેક કિસ્સાઓ આ પુસ્તકમાં છે.

સમાજની કુરૂપતાઓ સામે અરીસો ધરવા, માનવતાનો જીર્ણોદ્ધાર કરવા, ભૂખ્યાજનોના જઠરાગ્નિને જગાડવા, માનવમૂલ્યોને પોષવા માટે આવા બળકટ કલમવીરોનું, સર્જકોનું હોવું અત્યંત જરૂરી બની રહે છે. અને આખરે....

(એક સંપાદકને કહેવાયેલાં) આ સમર્થ વાર્તાકારના શબ્દો:-

“હું સેક્સ જેવાં છુપાવી રખાતા વિષયો પર મુક્તપણે ચર્ચા કરું છું. પણ મારી જાતને તેમાં ડૂબાડતો નથી. સમાજમાં ચોતરફ હવસના પૂજારીઓ દેખાતા હોય, પ્રેમના નામે વાસના જ જોવા મળે તો પછી એને હું શા માટે સંતાડું? મારી વાર્તાઓમાં જ્યાં તમને નગ્નતા દેખાય છે ત્યાં મને માનવતા દમ તોડતી દેખાય છે. માફ કરજો, પણ મને એ દમ તોડતી દેખાશે તો ત્યાં મારી કલમ પૂર્ણ શક્તિથી ચાલશે, પછી ભલે તમે તે છાપો કે ન છાપો....”

-    ડો. જય મહેતા

                                          તા. 07-09-2020