Tuesday, December 1, 2020

સમુદ્રમંથન – વિચારના વહાણમાં, સમજણની સફરે!

 


(લખ્યા તા. 17-04-'16, રવિવાર)

સમુદ્રમંથન - અનાદિકાળથી માનવમનમાં અને જીવનમાં નિત્ય નિરંતર ચાલ્યા કરતી પ્રક્રિયા. કુરુક્ષેત્રનો અર્જુન હોય કે ડેન્માર્કનો હેમ્લેટ,  'પાંસા'નો યુધિષ્ઠિર હોય કે નટસમ્રાટનો નાના પાટેકર - કે પછી અદિતિ દેસાઇ લિખિત નાટક 'સમુદ્રમંથન: A Musical Fairytale' નાં પાત્રો હોય! આ લખનાર હું અને આ વાંચનાર તમે પણ આવાં જ કોઇ વિરાટ મંથનનો  હિસ્સો છીએ! 
આજે રાત્રે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઇ હૉલમાં મારી જીવનસાથી સાથે આ ડ્રામા જોયું અને ઇન્ટરવલ સુધીમાં તો મનમાં વિચારોની એવી ભરતી આવી કે હજુયે કિનારે ભાવનાઓની ભીનાશ વરતાય છે.

પૂર્વભૂમિકા:- અદિતિ દેસાઇ દિગ્દર્શિત અને દેવકી લિખિત, અભિનિત આ નાટક સાથે આ બે ઉપરાંત અન્ય કેટલાંક વજનદાર નામો સંકળાયેલા છે:- મેહુલ સુરતી, હિમાલી વ્યાસ નાયક, મિહિર ભુતા, શ્રી કિર્તીભાઇ ખત્રી વગેરે.

સ્વાભાવિક છે કે ઓડિયન્સની અપેક્ષાઓ દરિયાનાં ચડતાં પાણીની જેમ વધતી જાય! તો... શું એ અપેક્ષાઓ પર ખરું ઉતરે છે આ નાટક?

(હા કે ના માં જવાબ આપો)

  "હા"

(કારણો આપી વિસ્તારપૂર્વક સમજાવો)


ગુજરાતનાં વિશાળ સમુદ્રકિનારે વસતાં માછીમાર કે ખારવા સમુદાયના જીવનને બેકગ્રાઉન્ડ તરીકે લઇને આ નાટક એક વૈશ્વિક વિષયને સંબોધે છે:- માણસનાં મનમાં અને ફળસ્વરૂપે સમાજમાં સ્ત્રી નું સ્થાન.

સંગીતપ્રધાન નાટકની શરૂઆત ધમાકેદાર થઇ. સ્ટેજ પર સીધાં જ કલાકારો ને રજુ કરવાને બદલે એ લોકો હૉલમાંથી પસાર થઇ નાચતાં ગાતાં સ્ટેજ પર પહોંચ્યા ત્યારે જ લાગ્યું કે "Well begun is half done"

"વહાણમાં કોઇ અસ્ત્રી નો પગ પડે એટલે ગોઝારી ઘટના ઘટે!" એ સાંભળતાં જ ખ્યાલ આવી ગયો કે આ તો મહિલાઓ પ્રત્યેના સમાજના સ્ટીરીયોટાઈપ્સ ની વાત છે. સાચું કહું તો જરાક અણઞમો પણ થયેલો - મેઇલ ઇગો ને લીધે નહીં પણ હમણાં હમણાં નારી સશક્તિકરણના નામે જે કાંઈ ચાલી રહયું છે એનાં લીધે. સિલ્કની ભારેખમ સાડી પહેરીને એ.સી. હૉલમાં ફેમિનિઝમ પર રિસર્ચ પેપર વાંચી, પંજાબી ફુડ ખાઇને અને કૉફી પીને છુટ્ટા પડતાં "પ્રબુદ્ધ", "સારસ્વત" નાગરિકોની નારી ચેતના માટેની ખેવનાથી જબરો કંટાળ્યો છું હું! થીયરી કે વિચારધારાની માથાકૂટમાં સહેજેય પડ્યા વિના પુરુષો અને સ્ત્રીઓના મનમાં કદાચ એકસરખો ખળભળાટ મચાવી શકે એવું નાટક એટલે "સમુદ્રમંથન"!

સ્ત્રી વગરનું પુરુષનું જીવન એટલે કપ્તાન વગરનું વહાણ. જિંદગીના તોફાની દરિયામાં અધવચ્ચે ફંગોળાતા આવા વહાણ જોઈએ ત્યારે સ્ત્રીનું મહત્વ સમજાય – સમજવું હોય તો, બાકી લગ્નજીવન અને પત્નીના જોક્સ કહી-સાંભળીને તાળીઓ દેતાં હોય અને પોતાના પગના મોજા પણ પત્ની પાસે જ શોધાવતા હોય એવા પુરુષો પણ સમાજમાં જોવા મળે છે.  

સદીઓથી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રી અંધશ્રદ્ધા, અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી આવી છે પણ હવે હવામાન બદલાઈ રહ્યું છે અને સમાજે આ પોઝિટિવ બદલાવને સ્વીકારવો જ નહીં પણ વધાવવોય જોઇએ! કમનસીબે આજે સમાજ બે અંતિમો વચ્ચે ખેંચાઈ રહ્યો છે:- એક બાજુ ફિલ્મ, એડવર્ટાઇઝિંગ જેવા ક્ષેત્રોમાં વારતહેવારે સ્ત્રીત્વને encash કરવાના commercial કારસાઓ થાય છે તો બીજી તરફ સામાન્ય વર્ગની સ્ત્રી હજી હાંસિયામાં જીવે છે. એક બાજુ domestic violence ની કલમનો દુરુપયોગ કરતી સ્ત્રીઓ છે તો બીજી તરફ ધણીનો કોઈ ધણી છે?” વિચારીને ત્રાસ વેઠતી સ્ત્રીઓ છે. એક એવો નાનો વર્ગ છે જેમાં અમુક મારકણી, મારફાડ ને માથાભારે મહિલાઓ કાયદાઓનો દુરુપયોગ કરી નિર્દોષ પુરુષોનો ભોગ લ્યે છે જયારે બીજો એવો વિશાળ વર્ગ છે સ્ત્રીઓનો કે જેમનાં સુધી આવાં કોઇ કાયદાઓ પહોંચી શકયા જ નથી!

એવી જ એક સ્ત્રી એટલે કબી ખારવણ. આર.જે. દેવકીએ અભિનયનાં ઓજસ પાથરી જે પાત્રને જીવંત કરી આપ્યું એ કબી એટલે રામપાસા જહાજનાં કેપ્ટન મીઠુ ખારવાની સહધર્મચારિણી. મીઠુના ખારવાધર્મના આચરણમાં સાથ આપતી કબી. વાર્તા વિષે વધુ વાત કરીને વટાણા વેરવાનું મને કયારેય ગમ્યું નથી પણ એટલું તો કહેવું જ પડે કે આ નાટક લગભગ દરેક ડિપાર્ટમેન્ટમાં પ્રભાવક લાગે છે. સૌથી વધારે ઉત્કંઠા મને એ વાતની હતી કે દરિયામાં તરતાં વહાણમાં જીવાતા જીવનને સ્ટેજ પર કેમ દેખાડયું હશે? ખરેખર, મંચ સજ્જા, લાઇટીંગ વગેરે કાબિલે તારિફ હતાં. તોફાનનો માહોલ, વિજળીનાં કડાકા, જહાજ પર બેસતું ઘેડ પક્ષી અને એનો અવાજ, વગેરે તાદ્દશ ભજવાયું હતું. આ પક્ષી ના શુકન-અપશુકન ની ઘટના પરથી અંગ્રેજ કવિ Coleridge ની કવિતા “The Rime of the Ancient Mariner” યાદ આવી જાય. એમ તો માલમનાં જીવનને જોતાં જયંત ખત્રી ની એક બળકટ વાર્તા કાળો માલમપણ યાદ આવે. મેહુલ સુરતીનું સંગીત અને હિમાલી વ્યાસ નાયકની ગાયકી વિષે તો કંઇ કહેવું પડે? ગીતોનો નરેટીવ ટેકનીક તરીકે ઉપયોગ થયો છે પણ ગીતોની સંખ્યા ઓછી રાખી હોત તો સારું રહેત. કોરીયોગ્રાફી પણ નાટકનાં વાતાવરણ સાથે સુસંગત હતી. દરિયામાં થતી ઉથલપાથલ તખ્તાના અનેક ડિવાઇસીઝથી દર્શાવાઇ છે.

સંવાદ એ મારી દ્રષ્ટિએ કોઇપણ નાટકનું અભિન્ન અંગ હોય છે અને આ નાટકમાં તેજાબી સંવાદોનાં કંઈક ચમકારા જોવા મળ્યા. ખાસ તો ગામઠી શૈલી અને તળપદા શબ્દો ખારવાજીવનને બખૂબી રજુ કરવામાં સહાયક બન્યા છે પરંતુ અમુક કલાકારોનાં મોઢે આ લોકબોલીનાં વાકયો ભળતાં ન હોય એવું લાગ્યું. આ ઉપરાંત ખારવાને મોઢે દેશી છાંટવાળા શબ્દોની વચ્ચે "દિશા", "સમય" જેવાં શબ્દો થોડાંક ખટકતાં હતાં.


અભિનય? જોરદાર! એકટીંગ નાં મુલ્યાંકનનું એક માપદંડ એ છે કે રોલ પોઝીટીવ હોય કે નેગેટીવ, નાનો હોય કે મોટો પણ એ પાત્ર જીવંત લાગવું જોઇએ અને script ની આખી ડિઝાઇન ઉપસાવવામાં મદદ મળવી જોઇએ, જે 'સમુદ્રમંથન' માં થાય છે. પછી એ મજબુત મનોબળ અને કમનીય કાયાવાળી કબી હોય, મુક્ત વિચારોનો માયાળુ મીઠુ હોય, રતનસિંહ હોય કે મન-વચન-કર્મથી ભયંકર અને ભદ્દો એવો ભુદો હોય. અભિનય બેન્કર, ગૌરાંગ આનંદ અને અન્ય કલાકારોએ જીવ રેડી દીધો છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. ગુસ્સો, ઇર્ષા, પ્રેમ, ભય, શૌર્ય વગેરે મનોભાવો દર્શકો સુધી બરાબર પહોંચે છે.

અગાઉ કહયું એમ ફેમિનિઝમનાં ફાંકા માર્યા વિના સ્ત્રી-સહજ સંવેદના અને વેદના વ્યકત કરતું નાટક એટલે સમુદ્રમંથન.

અહીં પુરુષની રેખા નાની કરીને પોતાની રેખા મોટી કરવાની વાત નથી. ઓશો એવું કહેતાં કે પુરુષની દેખાદેખી કરીને સ્ત્રી સમોવડી ન બની શકે. પુરુષ સિગારેટ કે દારૂ પીવે તો હુંય પી શકું એવા વલણથી તો સ્ત્રી પણ પુરુષ જેવી થતી જાય ને એનું સ્ત્રીત્વ ખતમ થઇ જાય. સ્ત્રી ને પુરુષ બંને અલગ છે ને એમનાં અલગ અસ્તિત્વનું સૌંદર્ય છે, અને એટલે જ અનેક અન્યાય સહન કર્યા પછી પણ કબી નથી બદલો લેતી કે નથી રોવા બેસતી. એ પોતાનાં મકકમ મનોબળ અને કાબેલિયતથી પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરે છે ને સૌને તોફાનમાંથી ઉગારીને પુરવાર કરી આપે છે કે "અસ્ત્રી નો પગ જીંદગીમાં પડે તો ગમે એવાં તોફાનો પણ ટળી જાય." સાચ્ચે, સ્ત્રી એટલે કુસુમની કોમળતા અને કાંટાની કઠોરતા એકસાથે!

એક પુરુષ આ નાટક જોયાં પછી આવાં વિચારો વ્યકત કરી શકે એ જ સમુદ્રમંથનની સફળતા. 
નાટ્યગૃહની બહાર નીકળ્યા પછી ભાવકો મનોમંથન અનુભવે અને સ્ત્રીત્વને સલામ કરી એને પોતાનાં મનમાં અને જીવનમાં સાદર સ્થાન આપે એ દિશામાં થયેલો એક સંનિષ્ઠ પ્રયાસ એટલે સમુદ્રમંથન!

                               -    © ડૉ. જય મહેતા

No comments:

Post a Comment