Tuesday, September 1, 2020

પોલીટેકનિકમાં પ્રવર્તતી શૈક્ષણિક અસ્પૃશ્યતા


લખ્યા તા. 20-08-2020

હાથમાં કારોબાર રાખ્યો તેં,

ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
- મનોજ ખંડેરીયા
આજે બપોરે સ્ટાફરૂમમાં વિજ્ઞાન અને એન્જીનિયરીંગનાં સહકર્મચારીઓ સાથે હળવી વાતચીત દરમ્યાન મારા એક સંવેદનશીલ અને અભ્યાસુ સાથીના ભાષા-સાહિત્યના વિશાળ અભ્યાસ અને કવિતાની સૂઝને ધ્યાને લઈને મેં એક વિધાન કર્યું:- "આ સાહેબ તો XYZ વિષયમાં આવી ગયાં એટલે બાકી એમણે તો ગુજરાતી સાથે MA કરવા જેવું હતું." આ સાંભળી એક વડિલ વ્યાખ્યાતાનું નિવેદન:-
"જો એમણે ગુજરાતી રાખ્યું હોત તો અત્યારે ક્યાંક શિક્ષક હોત!" એમ કહીને "શિક્ષક" શબ્દ પર સવિશેષ અને તિરસ્કારના ભાવ સાથે ભાર મૂકી ખડખડાટ હસ્યાં. મેં એમનાં પગારકેન્દ્રી માપદંડને ધ્યાને રાખીને તરત જ જવાબ આપ્યો:- "કેમ? હું આર્ટ્સમાં ભણીને પણ તમારી સાથોસાથ ઉભો છું , સરખો પગાર લઉં છું ને! અને આર્ટ્સ કોલેજમાં જે GPSC થયેલાં વ્યાખ્યાતાઓ છે એ પણ NET, GSET, PH.D. જેવી સિદ્ધિઓ મેળવી સારો પગાર મેળવે જ છે."
હજી હું આગળ જવાબ આપું ત્યાં તો એન્જિનિયરિંગના એક વરિષ્ઠ વ્યાખ્યાતાએ મને જોઇને કહ્યું:-
"ક્યારેક મને એમ થાય છે કે આ ગુજરાતી ને હિન્દી ને ઇતિહાસ જેવાં વિષય રાખી લેવાની જરુર હતી. આ ખોટું આટલું અઘરું ભણ્યો!"
મનમાં તો સણસણતા જવાબ આવતાં હતાં પણ વયની શરમ અને સાહિત્યના સંસ્કારે મને અટકાવ્યો.
આ કાંઈ પહેલી ઘટના નથી. પાંચ વર્ષમાં પાંચસોથી વધારે વખત આવાં ગુરુતાગ્રંથિથી ગંધાતા અને હાડોહાડ ભેદભાવયુક્ત ઉચ્ચારણો સાંભળીને એ હળાહળ ગળામાં જ સંઘરી લીધું છે.
કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં આર્ટ્સ,કોમર્સ, સાયંસ જેવી વાડાબંધી દૂર થાય એ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે એવું ધ્યાને આવ્યું છે ત્યારે આ લોકોની બંધિયાર માન"સિક"તા ક્યારે બદલાશે?
વિજ્ઞાન અને એન્જિનિયરિંગ પ્રત્યે તો આભાર અને અહોભાવ સિવાય કંઈ જ ન હોઇ શકે. આજે જે મોબાઈલથી ટાઈપ કરીને ઈન્ટરનેટ થકી તમારા સુધી આ વાત પહોંચાડી શકું છું એ તેની દેન છે. વિશાળ ઇમારતો, સરસ મજાના ફ્લાઇઓવર, જાતભાતના ગેજેટ્સ અને ઍપ્સ વગેરે એન્જિનિયરિંગનો જ કમાલ છે ને! પરંતુ એનો અર્થ એવો તો નથી કે humanities ના વિષયો અને તેમાં ભણનાર સૌને નક્કામા સમજવાના! મારા આ અનુભવ સાથે અનેક લોકો સહમત થાશે એ મને ખ્યાલ છે પણ મારા સાડા ત્રણ દાયકાના જીવનમાં મેં એકપણ કિસ્સો એવો જોયો નથી કે કોઇ આર્ટ્સ કોલેજમાં એન્જિનિયરિંગ કે વિજ્ઞાન શાખાનાં વ્યક્તિ સાથે આવું discrimination થતું હોય.
મારા ખુદના પપ્પા NAVINBHAI MEHTA કેમિકલ એન્જિનીયર છે અને એ પણ આજથી 45 વર્ષ પહેલાં DDIT, Nadiad થી એમણે અભ્યાસ કરેલો એટલે એક એન્જિનિયરની ચોકસાઈ, ઊંચો IQ, સર્જનાત્મકતા, perfection નો આગ્રહ વગેરે ગુણોથી હું નાનપણથી પરિચિત હતો જ ને હજીય સાચા એન્જિનિયર પ્રત્યે આદર ધરાવું છું પણ એ જ નવીનભાઈ જ્યારે કલાપી કે કાન્તના કાવ્યો, મેઘાણીની વાર્તાઓ, world politics, Buddhism, Jainism, સમાજજીવનનાં પ્રવાહો, તળપદી ગુજરાતીનાં વિશિષ્ટ શબ્દો વગેરે વિશે સંદર્ભ અને ઉદાહરણ સાથે ચર્ચા કરે ત્યારે આપણે અચંબિત થઈ જઈએ.
આર્ટ્સને ઉતારી પાડનાર ઉપરોકત અધ્યાપકોની ત્રેવડ છે આમાંથી એકપણ વિષય પર બોલવાની?
હું સાહિત્યનો વિદ્યાર્થી હોવા છતાંય સફારી રસપૂર્વક વાંચુ અને મારા કલિગ સાથે ચર્ચા પણ કરું તો એન્જિનિયરિંગના અધ્યાપકને આવી આભડછેટ કેમ નડતી હશે?
મને ગર્વ છે કે હું આર્ટ્સનો, માનવવિદ્યાનો વિદ્યાર્થી છું, જ્યાં માણસને માણસ તરીકે જોવાનું શીખવાડાય છે, એનાં ગ્રેડ પે કે ક્યા વર્ષની GPSC છે એનાં આધારે નહીં.
મને લાગે છે કે હવે બંધારણની કલમ 15 માં લિંગ, જાતિ, ધર્મ, કુળ, પ્રદેશનાં આધારે થતાં ભેદભાવ અને અપમાનની સાથે આ પ્રકારની શૈક્ષણિક અસ્પૃશ્યતાનો પણ સમાવેશ કરવો જોઇએ.
આ ઘટના સમયે તો એટલો ગુસ્સો આવ્યો કે ચાણક્યની જેમ પ્રતિજ્ઞા કરું કે એક દિવસ આ જ સંસ્થામાં ડો. જય મહેતા એની Mercedes લઈને આવશે જે એણે એનાં ભાષા-સાહિત્યનાં જ્ઞાન અને અભ્યાસથી કમાયેલા રૂપિયાથી ખરીદી હશે, પણ થયું કે એનાંથી પણ આ hegemony દૂર થવાની નથી!
કાજલ ઓઝા વૈદ્ય થી કવિતા કૃષ્ણમુર્તિ સુધી, ઓસમાણ મીરથી લઈને એ. આર. રહેમાન સુધી જોઇ લ્યો! કલાકારો લખલૂંટ પ્રેમ, પૈસો, કિર્તિ બધું જ કમાયા છે જ. હજી આપણે કુમાર વિશ્વાસ, રાહત ઈન્દોરિ, જાવેદ અખ્તર, ગુલઝાર, જે. કે. રોલિંગ્સ, પોલો કોઍલો, સ્ટીફન કિંગ સુધી તો ગયાં જ નથી.
English માં એક પેરેગ્રાફ લખવો હોય તોય આપણી સહાય માંગે ને બીજી જ મિનિટે "તમારે તો શું English માં phd કરવામાં હોય? વાર્તાઓ જ હોય ને!" આવું એમનાં જ શ્રીમુખેથી સાંભળવા મળે ત્યારે એમ થાય કે વાહ! દંભની પરાકાષ્ઠા છે બાકી!
એ ઘડીએ કવિમિત્ર ભાવેશ ભટ્ટનો શેર માનસપટલ પર ઝબકે:-
"વિદ્યાર્થીઓના ટોળામાં રહું છું એ મારી મજબૂરી છે પણ;
તું તો એ જાણે છે ને કે તું કોને ભણાવે છે?"
આવી પરિસ્થિતિમાં મારા શુભચિંતકો મને એવી PRACTICAL સલાહ આપતાં હોય છે કે "બહુ નહીં વિચારવાનું, દર મહિને પેલી તારીખે પગાર આવી જાય છે ને, એટલે બસ!"
મારા હિત માટેની ખેવનાને લીધે હું એમને મોઢે તો દલીલ ન કરું પણ મનોમન એમને જાવેદ અખ્તર સાહેબનો શેર કહી દઉં છું:-
"ग़लत बातों को ख़ामोशी से सुनना हामी भर लेना,
बहुत हैं फायदे इसमें मगर अच्छा नहीं लगता!"
અગાઉ કહ્યું એમ, આ કોઇ નવી વાત નથી, આ પ્રકારનાં "કર્ણપણા" સાથે રોજ જીવું છું પણ ફિલ્મ 'A Wednesday' ના કોમન મેન પાસેથી શબ્દો ઉછીના લઈને કહું તો:-
"સાહબ, યે acceptable નહીં હૈ. યે સારા નાટક બંધ હોના ચાહીયે. This whole bloody system is flawed.
WE ARE RESILIENT BY FORCE, NOT BY CHOICE."
ફક્ત ગુજરાતની જ વાત કરીએ તોય કેટલાંય એવાં ડોક્ટર, એન્જિનિયર છે જેઓ ખૂબ સફળ કવિ કે નવલકથાકાર હોય. એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ તો દર વર્ષે 'સાહિત્ય સરિતા' નામે મોટો જલસો કરે છે. એ પણ ધ્યાને લેવાનું ને!
આમ પાછા આપણે બળાપો ઠાલવીએ કે સમાજમાં શિક્ષકને માન મળતું નથી પણ તમે અંદરોઅંદર જ અલગ અલગ પંથ ને સંપ્રદાય બનાવીને બેઠાં છો એનું શું! જ્યારે આપણે સમાજમાં ઘટતાં ભયાનક અપરાધો વિશે ચિંતા અને દુ:ખ વ્યક્ત કરીએ છીએ ત્યારે એ યાદ રાખવું જોઇએ કે એનાં અનેક કારણોમાનું એક કારણ છે અભ્યાસમાં ભાષાઓનું અવમૂલ્યન.


બેટા, SCIENCE, MATHS, ENGLISH માં સ્કોર કરી લે બાકી સમાજવિદ્યા, ગુજરાતી, હિંદી એ બધાં તો પાસ થાવા માટેનાં subjects છે. (English પણ એટલે કહે છે કેમ કે એની વિના ચાલે એમ નથી) અને સંસ્કૃત તો ગોખણપટ્ટીનો, સ્કોરીંગ સબ્જેક્ટ છે. બરાબર ને!
પણ આ વિષયોમાં થતું હોય એ મૂલ્ય શિક્ષણનું શું? ઓસામા બિન લાદેનથી માંડીને સંસદ ભવન પરના હુમલા ના માસ્ટરમાઈન્ડ એન્જિનિયર, ડોકટર, પ્રોફેસર હોય તો આપણી કેળવણીમાં ક્યાંક તો કાચું કપાયું હશે ને!
"બેટા, ગણિત વિજ્ઞાનમાં જ વધારે ધ્યાન આપવાનુ...."
પછી તો આ જ બેટાઓ મોટાં થઈને શરુઆતમાં લખ્યું એવી ખાબોચિયાછાપ માન"સિક"તા પ્રદર્શિત કરે જ ને!
બસ, વિશેષ તો શું કહું!
ફરીથી એ જ ભાવેશ ભટ્ટનો શેર યાદ આવે છે:-
કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે
પણ દોસ્ત આખરે તો, અમને ફરક પડે છે
- ડૉ. જય મહેતા

No comments:

Post a Comment