Tuesday, September 1, 2020

Thank You Ahmedabad!

 Thank You Ahmedabad!



(લખ્યા તા. 30-06-2020)

30-06-2015 થી 30-06-2020.
આજે મારે અમદાવાદ રહેવા આવ્યાને 05 વર્ષ પુરાં થયાં. તા. 29 જૂન 2015 એ મારાં જીવનની સૌથી આકરી પ્રતિક્ષા પુર્ણ થઈ અને GPSC દ્વારા Lecturer in English તરીકેનો મારો ઓર્ડર થયો. ઓર્ડરમાં પહેલું નામ હતું ઇશાન ભાવસારનું (જે આગળ જતાં મારો જીગરી દોસ્તાર બન્યો)
બીજું નામ હતું જય મહેતા અને સંસ્થાનું નામ હતું:- આર. સી. ટેક્નિકલ ઇન્સ્ટિટયૂટ.
મેં તો સંસ્થાનું નામ પણ પહેલી વાર સાંભળ્યું હતું. બીજા જ દિવસે એટલે કે 30 જૂને તો હું ત્યાં પહોંચી ગયો. બસ એ દિવસ હતો અને આ દિવસ છે. R.C.T.I. અને અમદાવાદ સાથે 5 વર્ષ વિતાવ્યાં એનાં વિષે થોડી વાત કરવી છે. આગળ વધતા પહેલા એક નિખાલસ કબૂલાત:-
અહીં આવતા પહેલા મને અમદાવાદ પ્રત્યે જબ્બર અણગમો, prejudice અને અવિશ્વાસ હતો, જેના માટે મારા કેટલાક અંગત અનુભવો જવાબદાર ગણી શકાય. Once bitten twice shy.
રમેશ પારેખના શબ્દો યાદ આવ્યા કરતાં:-
“આ શહેર છે, તમારી ગમે એટલી ચીવટ હોય,
અહીં તમે શ્વાસ લો એમાંય કપટ હોય!”
અમદાવાદીઓ લુચ્ચા હોય, સ્વાર્થી હોય, એકદમ ગણતરીબાજ ને કંજૂસ હોય, આપણને છેતરી જાય વગેરે ગેરમાન્યતાઓના ઝાળાં બાઝેલાં હતાં મારા મનમાં. જો કે, મારો કાઠીયાવાડપ્રેમ તો ઘટવાને બદલે વધ્યો જ છે પરંતુ ઉપરોક્ત કુંઠાઓ હવે દૂર થઈ ગઈ છે એનો આનંદ છે. અંગ્રેજીમાં એક વાક્ય છે:- To generalize is to be an idiot.
આ પાંચ વર્ષ અત્યંત eventful રહયાં. અત્યાર સુધી 11 માસની કરાર આધારીત વ્યાખ્યાતા સહાયકની નોકરીને લીધે Ad Hoc, Teaching Assistant વગેરે હોદ્દાઓ સાથે મેં રાણપુર, ભાવનગર, વલ્લભીપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર એમ અલગઅલગ સ્થળોએ નોકરી કરી હતી પણ હવે પૂરા પગારની regular, સરકારી નોકરી મળવાને લીધે અમદાવાદમાં (ટ્રાન્સફરેબલ જોબ છે એટલે) અસ્થાયી રુપે સ્થાયી થવાનું બન્યું.
આ સમયગાળા દરમ્યાન મારા જીવનમાં કેટકેટલું બદલાયું!
Promising bachelor થી પરિણીત પુરુષ સુધી
શટલ રિક્ષાથી પોતાના એક્ટિવા સુધી
ભાડાની રૂમથી 2BHK સ્ટાફ ક્વાર્ટર્સ સુધી
ચણા-મમરા જેવડા પગારથી 6th pay પૂર્ણ પગાર સુધી
And above all,
Jay Mehta થી Dr. Jay Mehta સુધી


બાહ્ય જીવનના બદલાવો કરતાં ક્યાંય વધારે મહત્વનાં છે મનોજગતમાં થતાં ફેરફારો. જેમ ઉંમર વીતે અને માણસનો ચહેરો બદલાતો જાય એમ જ કદાચ મનને પણ એક ચહેરો હશે જે આપણે જોઈ તો શકતા નથી પણ એ માણસની આભા (aura) થી ઓળખાતો હોય છે. વ્યક્તિત્વની પણ એક સુગંધ હોય છે અને મને લાગે છે કે હું પાછલા પાંચ વર્ષોમાં વધુ મહેકતો થયો છું. મારા મનને મઘમઘતું બનાવવા બદલ Thank you Ahmedabad!
You cannot jump into the same river twice. નદીનો પ્રવાહ સતત બદલાતો હોય છે. આજે જીવાયેલી ક્ષણ કાલે ભૂતકાળ બની જશે. કાળના પ્રવાહમાં તણાતા તણાતા આપણા અસ્તિત્વનો આકાર પણ બદલાતો હોય છે: જેમ નદીના પાણી સાથે વહેતા પથ્થર/કાંકરાઓનો આકાર બદલાય એમ જ.
ત્યારનો જય કેવો હતો? જીવનની અનિશ્ચિતતાઓથી પરેશાન, મહા-ક્રોધી છતાં રમૂજવૃત્તિથી છલોછલ, એકદમ impulsive/ધૂની/તરંગી, જિદ્દી, પોતાના સપનાઓ સાકાર કરવા માટે ઝનૂનની હદે કૃતનિશ્ચયી, વધુ પડતો લાગણીશીલ પણ સરવાળે સારો-સીધો માણસ. અને હવેનો જય કેવો છે? નિયતિની થપાટો ખાઈને શાંત બેસેલો, ઓછો ધૂની, ઓછો જિદ્દી, મૌજથી જીવવાની એકેય ક્ષણ ન ચૂકનારો, હસતો-હસાવતો, લાગણીઓને વધુ સ્પષ્ટ રીતે સમજી શકનાર, સપનાઓ બાબતે પ્રયત્નશીલ છતાં નિસ્પૃહી અને સરવાળે સારો – સીધો (?) માણસ. બસ આ જે “સારો માણસ” લ.સા.અ. તરીકે નીકળી શક્યું ને, એ જ સૌથી મોટું આશ્વાસન ગણવું જોઈએ. યાતનાઓ, અન્યાય, છળકપટ, આઘાતો મારી માનવતાના ગઢની કાંકરીયે ન ખેરવી શક્યાં એ મારું પરમ સદ્દભાગ્ય!
જો કે, આ તો દલા તરવાડી જેવી વાત થઈ ને? હું જ મારૂં મૂલ્યાંકન કરું એ યોગ્ય ન કહેવાય, એ તો મને નજીકથી જાણનારા લોકો વધુ સારી રીતે કરી શકે અને કરવું જોઈએ. મને ખરેખર એવું લાગે છે કે મારા જન્મદિને સોશિયલ મીડિયામાં HBD કહીને કેક અને બૂકેનાં emoji મૂકીને અટકી જવાને બદલે કેટલાક લોકો મારા વિષે તટસ્થતાથી, નિર્ભીકપણે અને brutal honesty થી કંઈક લખે તો એ મને વધારે ગમે. Would someone please do that?
શરૂઆતમાં ઘાટલોડીયા ખાતે એક રૂમ ભાડે મળ્યો હતો – એક સહકર્મીની મદદથી. સામેવાળા એક આંટીના ઘરે જમવા જતો અને રોજ સવારે ચા પીવા માટે પણ પોણો કિલોમીટર ચાલીને જતો. નવી જગ્યા, નવા સાથીઓ, નવો અભ્યાસક્રમ, નવી વહીવટી વ્યવસ્થા... જો કે, મારા સાથીઓએ મને તમામ કામગીરીમાં મદદ કરી હતી એ નોંધવું જોઈએ. (આ લખાણમાં RCTI સાથેના પાંચ વર્ષની વાત ઓછી આવશે કારણ કે એ એક અલાયદા લખાણનો વિષય છે.) હું professionally ઘણો તૈયાર થયો છું, ઘડાયો છું એ વાતનો આનંદ છે. (Having said that, I do know that I still have a long way to go.)


ધીમે ધીમે મિત્રો બનવા લાગ્યા અને જિંદગી પોતાના લય પ્રમાણે ચાલવા લાગી. હું પહેલેથી જ કળાનો રસિયો/ “ઘોયો” છું એટલે અમદાવાદમાં થતી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં જોડાતો ગયો. ગુજરાત સાહિત્ય પરિષદ ખાતેની બુધસભા હોય કે કનોરીયા સેન્ટરમાં ડો. ચિનુ મોદી સાહેબ સાથેની શનિસભા હોય, હું એ બધામાં ઉત્સાહભેર ભાગ લેતો થયો અને નવું નવું શીખતો ગયો. જે ન શીખી શક્યો એ મારી આળસ અને ધૂની સ્વભાવને લીધે ન શીખ્યો એમ સમજવું.
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ નેશનલ બૂકફેર, કન્વેન્શન સેન્ટરમાં નાટકો, ક્રોસવર્ડમાં લેખકો સાથે મુલાકાતો, વિશ્વકોશ ટ્રસ્ટમાં વ્યાખ્યાનો.....
Chetan Pathak
,
Mitali Bodar Pathak
,
Maitri Trivedi
,
Darshita Dave
,
Jayesh Joshi
,
Ravi Vyas
,
Kunal Soni
,
Jayshil Jani
જેવાં શબ્દચાહકો સાથે અનેક મહેફિલો માણી હતી એ મને તો યાદ છે જ, એમને પણ યાદ હશે જ!
Dilip Rangwani
અને
Kuldip Brahmbhatt
સાથે PPM ની સીઝન્સ કરી એ યાદગાર અનુભવ રહ્યો.


અંગ્રેજીની આંગળી છોડાવીને ગુજરાતી શબ્દની સંગત માણવાનુ શરૂ થયું. આ દરમ્યાન અનેક સાહિત્યરસિકોનો પરિચય થયો. એમાંથી કેટલાક ઔપચારિક સંબંધો રહ્યાં, કેટલાક આત્મીય બન્યા અને દૂર થયા તો કેટલાક હજુ સુધી હૈયે વસવાટ કરીને મારી સંબંધ-સમૃદ્ધિ બાબતે ગૌરવ અપાવે છે.
પહેલી વાર પ્રિન્ટ મીડિયામાં લેખો છપાયા, પહેલી વાર open mic માં કાવ્યપાઠ તથા સંચાલન કરતો થયો, પહેલી વાર હું મારા non-academic લેખનને ગંભીરતાથી લેતો થયો. June 2015થી February 2016 સુધી અમદાવાદમાં વાંઢા-વૈભવ ભોગવ્યા પછી મને મળ્યું મારા આખાયે આયખાનું મહામૂલું, વ્હાલું નામ - દર્શિતા. સાચા અર્થમાં એ સહધર્મચારીણી બની રહી. મારી સાહિત્યપ્રીતિને એણે સહર્ષ સ્વીકારી અને મને હંમેશા એ માટે પ્રોત્સાહિત કર્યો.
અમદાવાદનાં મોલ્સમાં ફરવું, શોપિંગ કરવું, થિયેટરમાં ફિલ્મ જોવી, હોટલમાં જમવું, દૂરદૂર રહેતા દોસ્તારના ઘર સુધી રખડવું..... (લોકડાઉન ને બાદ કરીએ તો) છેલ્લા 4 વર્ષથી અમારા માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બની રહ્યું છે અને આ જ કારણ છે કે હું આજે અમદાવાદનો આભાર માની રહ્યો છું - મારા અને દર્શિતાનાં (મામકા:) અસંખ્ય સુમધુર દિવસો અહીં વીત્યા છે. પ્રેમ થઈ ગયો છે અમને આ શહેર સાથે!


અનામત આંદોલનમાં સળગેલું અમદાવાદ, વરસાદથી ટ્રાફિક-જામમાં અટવાતું અમદાવાદ, 20,000 થી વધુ કોરોના કેસ સાથે લડતું અમદાવાદ, લોકડાઉન દરમ્યાન સૂમસામ પડી રહેલું અમદાવાદ - આ બધાના અમે સાક્ષી રહ્યા છીએ. ગમે એવી ભયાનક આપદા આવે, આ શહેર ફરીથી બેઠું થઈ જ જાય છે. Never Say Die Spirit શીખવે છે આ શહેર! Thank you Ahmedabad!
ઓશો એવું કહે છે કે જેમ સાપ પોતાની કાંચળી ઉતારીને આગળ ચાલી જાય એટલી જ સહજતાથી માણસે પોતાના ભૂતકાળને ભૂલી જવું જોઈએ પણ મને એ પ્રશ્ન થાય છે કે સાપે ઉતારેલ કાંચળીમાં પણ કેટલુંક સર્પત્વ તો રહી જતું હશે ને? શું માણસ આટલી સહજતાથી પોતાના ભૂતકાળને ભૂલી શકે? અને ધારો કે ભૂલી પણ જાય તોય એને એ જેવો છે એવો બનાવવામાં એ past ની ભૂમિકા કઈ રીતે નકારી શકાય?
ઓસ્કાર વાઇલ્ડનું એક સુખ્યાત વિધાન છે:- "Every saint has a past and every sinner has a future.” બસ આપણે આ સંત અને પાપી વ્યક્તિ વચ્ચેની કોઈ અવસ્થામાં જીવી રહ્યા છીએ. આ પાંચ વર્ષનું સરવૈયું તપાસતા અનેક નામો માનસપટલ પર ચમકે છે પણ એનો ઉલ્લેખ નથી કરવો. બાત નીકલેગી તો ફીર દૂર તલક જાયેગી.
આ સૌ સારા-નરસા અનુભવો મને આ ભૂમિ પરથી પ્રાપ્ત થયા એટલે પણ અમદાવાદનો આભાર. જેમ ખૂબ ગળ્યું ખાવાથી મોઢું ભાંગી જાય, sugar વધે એમ સતત સુખદ અનુભવોથી માણસ કાચો રહી જાય. એને તપાવીને શુદ્ધ બનાવવા માટે તકલીફો, પીડા, સંઘર્ષમય દિવસો જરૂરી છે, અને હા, આ બધું બ્રહ્મજ્ઞાન મને અત્યારે સૂઝે છે બાકી 6 મહિના પહેલા દુ:ખો સામે લડીલડીને મારું nervous breakdown થઈ ચૂક્યું હતું એ પણ હકીકત છે. મારો હાથ પકડીને ઊભો કરનાર દર્શિતા, દીપ, કેયૂર, રીમા જેવા મારા વ્હાલીડાવને સો સો સલામ! આ કેયૂરયો પણ મને અમદાવાદે આપ્યો છે.


અગાઉ ઉલ્લેખ કર્યો એ સાહિત્યિક પ્રવૃત્તિઓના exposure ને લીધે મને મારી કલમનું ઓજસ દેખાવા લાગ્યું. ફેસબૂકમાં સુજ્ઞજનોનો પ્રતિભાવ, પ્રોત્સાહન અને પ્રેરણા સતત મળતાં રહ્યાં છે. એને લીધે હું થોડુઘણું કામ કરી શક્યો છું અને ઈંશાહઅલ્લાહ, આગળ પણ કંઈક ને કંઈક કરતો રહીશ. શાહબુદ્દીન રાઠોડ સર કહે છે એમ, "એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય."
એ જ શાહબુદ્દીન સર લાઓ ત્સે નું એક quote કહેતા હોય છે:- "ક્યાં અટકવું એટલી જો ખબર પડી જાય તો જીવનમાં દુ:ખ ન થાય." એટલે આ વીતેલી ક્ષણોના સંભારણાનો પટારો હવે બંધ કરી દઉં છું. હરિવંશરાય બચ્ચનની પંક્તિ સાથે અમદાવાદ પ્રત્યેનું ઋણસ્વીકાર પૂરું કરીએ:-
"જીવનકી આપધાપી મે કબ વક્ત મિલા
કુછ દેર કહીં પર બૈઠ કભી યહ સોચ સકું
જો કિયા, કહા, માના, ક્યા બુરા ક્યા ભલા!"
- © ડો. જય મહેતા

3 comments:

  1. Really very good representation of memories

    ReplyDelete
  2. વાહ JNM...! વિચારો, અનુભવો અને અનુભવેલી સંવેદનાઓ નું બખૂબી આલેખન કર્યું છે..!

    ReplyDelete